અમદાવાદની એલ.ડી આર્ટ્સ કોલેજમાં તોડફોડ મામલે ત્રણ વિદ્યાર્થીઓને કોલેજમાંથી બરતરફ કરીને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, LD આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓ તોફાન કરતા હોવાથી અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન હતા. અમુક વિદ્યાર્થીઓ અધ્યાપકો, વિદ્યાર્થિનીઓને હેરાન કરવા, છરી સાથે કલાસમાં જવું, મહિલા અધ્યાપકો ભણાવતા હોય ત્યારે ચાલુ કલાસે ક્લાસના દરવાજા બંધ કરી દેવા સહિતની અનેક ગેર પ્રવૃત્તિઓ કરતાં હતા.
પ્રિન્સિપાલે શિખામણ આપતા વિદ્યાર્થીઓએ ગુમાવ્યો પિત્તો
આ મામલે પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ તોફાની વિદ્યાર્થીઓને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા જ્યાં પ્રિન્સિપાલે શિખામણ આપતા વિદ્યાર્થીઓએ પિત્તો ગુમાવ્યો હતો. જે વેળાએ ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં અભ્યાસ કરતાં અર્જુન રબારી નામના વિદ્યાર્થીએ કેબિનમાંથી પોર્ટનો છુટ્ટો ઘા કર્યો હતો. વધુમાં કેબિન બહાર નીકળી ખુરશીનો ઘા કરતા ખુરશી કાચ તોડી ઓફિસમાં પડી હતી. જેમાં પ્રિન્સિપાલ માંડ-માંડ બચ્યા હતા. ત્યારબાદ ત્રણેય વિદ્યાર્થીઑ નાસી છૂટ્યા હતા. આ ઘટનાને લઇને કોલેજ સંકૂલમાં સોંપો પડી ગયો હતો.
ત્રણેય સામે નોંધાવવામાં આવી પોલીસ ફરિયાદ
આ મામલે પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓની અનેક ફરિયાદો અગાઉ આવી ચૂકી છે. પરંતુ અગાઉ તમામને માફીપત્ર આપીને છોડી દેવામાં આવ્યા હતા. આ વખતે તેઓએ હદ પાર કરીને મને જેમ તેમ બોલીને મારવાનો પ્રયત્ન કર્યો છે, આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અનેક ફરિયાદ છતાં સુધરવાનું નામ ન લેતા તોફાની તત્વો
ઉલ્લેખનીય છે કે, આ શખ્સો વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદ ઉઠી હોવા છતા વગને કારણે તેનો વાળ વાંકો ન થતો હોવાનો અને પોલીસ પણ નમતું જોખતી હોવાની ફરિયાદ ઉઠી હતી. એટલું જ નહિ આ ત્રણેય વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓના ફોટા લઈને ફોરવર્ડ કરતાં હોવાની તથા કોલેજના ગ્રુપમાંથી નંબર લઈને ગંદા મેસેજ કરવા અને છોકરીઓની પાછળ જવા સહિતની તેઓની કરતૂતથી છોકરીઓ પણ ડર અનુભવી રહી છે. જે અંગે ઘટતું કરવાની માંગ ઉઠી છે.