દહેગામની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં એક એડવોકેટ અને પોલીસ કર્મચારી સામસામે આવ્યા હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના સોલા ખાતે રહેતા વકીલ ભરત બ્રહ્મભટ્ટે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ઈશ્વરભાઈ દેસાઈ અને બળદેવભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી ફરિયાદના આધારે સોલા હાઇકોર્ટ પોલીસે ઈશ્વરભાઈ દેસાઈ અને બળદેવભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, વકીલ ભરતભાઈના અસીલ તુષાર મનુભાઈ પટેલ અને મનુભાઈ પટેલે નરેશભાઈ અમીન પાસેથી દહેગામમાં એક જમીન વેચાણથી રાખી હતી. નરેશભાઈએ પૈસા લીધા પછી પણ તે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આથી તુષારભાઈએ આ મામલે વકીલ ભરતભાઈ દ્વારા કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં સમાધાન માટે નરેશભાઈ વતી શાહીબાગ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મી ઈશ્વર દેસાઈએ ભરતભાઈને ફોન કરી તેમને કેસમાંથી હટી જવા ધમકી આપી હતી.