અમદાવાદમાં અનેક તળાવ ગંદકીથી ખદબદે છે અથવા દબાણના કારણે પુરાઇ ગયાં છે. શહેરમાં સ્થાનિક લોકો અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવાં કાંકરિયા લેકફ્રન્ટ જેવાં આંગળીના વેઢે ગણાય તેટલાં તળાવ છે, જોકે શહેરને ઉદયપુરની જેમ લેકસિટી બનાવવા માટે તંત્રએ બીડું ઝડપ્યું છે અને પશ્ચિમ અમદાવાદમાં ગણાતા ઉત્તર-પશ્ચિમ ઝોનનાં ર૦ તળાવને નર્મદાનાં પાણીથી બારેમાસ છલોછલ રાખવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે, જેના કારણે આગામી મે મહિનાના અંત સુધીમાં આ તળાવ પાણીની ભરેલા રહેશે.
નર્મદાનાં પાણી માટે રૂ.૬ કરોડના ખર્ચે ૬.પ કિ.મી. લાંબી પાઇપલાઇન નખાશે
ઇન્ટરલિંકનું સીસીટીવી કેમેરાથી ડિસીલ્ટિંગ માટે રૂ. ૬ કરોડનો ખર્ચ ધરાવતાં ટેન્ડર બહાર પડાયાં
તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શહેરનાં તળાવની સ્થિતિની સમીક્ષા કરી હતી. અમદાવાદમાં તળાવની સંખ્યા નોંધપાત્ર હોવા છતાં દબાણના કારણે તેમજ તળાવમાં છોડાતાં ડ્રેનેજનાં ગંદાં પાણી ઉપરાંત તંત્રની બેદરકારીથી આ તળાવ લોકોપયોગી બની શક્યાં નથી. ફક્ત કાંકરિયા તળાવ માટે તંત્રએ કરોડોના ખર્ચે અલાયદો પ્રોજેક્ટ કરી લોકોને આકર્ષવામાં સફળતા મેળવી છે, પરંતુ અન્ય તળાવમાં કાંકરિયા જેવું ડેવલપમેન્ટ કરવામાં સત્તાવાળા નિષ્ફળ નીવડ્યા છે. બોડકદેવ વોર્ડમાં આવેલ વસ્ત્રાપુર તળાવ તંત્રની નિષ્ફળતાનો બોલતો પુરાવો છે.
જોકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં આવેલાં તળાવ કમસે કમ બારેમાસ પાણીથી ભરાયેલાં રહે તે માટે તંત્રએ કવાયત આરંભી છે, જેમાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા તંત્રના ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુર સહિત ત્રણ તળાવ, ગોતા વોર્ડના ગોતા તળાવ સહિત પાંચ તળાવ, ચાંદલોડિયા વોર્ડના ગામ તળાવ સહિત છ તળાવ અને થલતેજ વોર્ડમાં ગામ તળાવ સહિત છ તળાવ મળીને ર૦ તળાવ માટેનું આયોજન હાથ ધરાયું છે.
જાસપુર કેનાલથી ખોરજ તળાવ સુધી આશરે ૬.પ કિ.મી. લાંબી અને રૂ.૬ કરોડના ખર્ચે પાઇપલાઇન નખાશે
તંત્ર દ્વારા જાસપુર કેનાલથી ખોરજ તળાવ સુધી આશરે ૬.પ કિ.મી. લાંબી અને ૧ર૦૦ એમએમ વ્યાસની પાઇપલાઇન નખાશે. આ પાઇપલાઇન પાછળ રૂ.૬ કરોડ ખર્ચાશે અને ખોરજ તળાવને નર્મદાનાં પાણીથી ભરી જગતપુર તળાવ, છારોડી, ગોતા, દેવ સિટી અને આરસી ટેકનિકલ તળાવ સુધીની ઇન્ટરલિંક સિસ્ટમથી નર્મદાનાં પાણીથી તેને ભરાશે. આરસી ટેકનિકલ તળાવથી આગળ ગોતા-ગોધાવી કેનાલ મારફતે સોલા તળાવ, થલતેજ તળાવ સુધીની ઔડાના સમયની ઇન્ટરલિંક સિસ્ટમથી તળાવને બારેમાસ પાણી ભરેલાં રખાશે, જેના કારણે અમુક તળાવમાં ૧પ ફૂટ પાણીની ઊંડાઇ મળશે તો બોટિંગની સુવિધા આપી શકાશે.
બાર ડ્રેનેજ જોડાણ સહિત આશરે ૮૦ જોડાણ દૂર કરાયાં
નવી પાઇપલાઇન આગામી મે મહિના સુધીમાં નખાઇ જશે, જોકે તળાવના ગેરકાયદે ડ્રેનેજલાઇનનાં જોડાણ દૂર કરવાની કામગીરી હેઠળ અત્યાર સુધીમાં વસ્ત્રાપુર તળાવનાં બાર ડ્રેનેજ જોડાણ સહિત આશરે ૮૦ જોડાણ દૂર કરાયાં છે. ઉપરાંત તંત્ર દ્વારા ઔડાના સમયની ઇન્ટરલિંકનું સીસીટીવી કેમેરાથી ડિસીલ્ટિંગ માટે રૂ. ૬ કરોડનો ખર્ચ ધરાવતાં ટેન્ડર બહાર પડાયાં છે.
જાણકાર સૂત્રો કહે છે આ ર૦ તળાવને બારેમાસ નર્મદાનાં પાણીથી ભરાયેલાં રાખવા રાજ્યના સિંચાઇ વિભાગે જાસપુર કેનાલથી દરરોજ ૧૦૦ એમએલડી પાણી પુરવઠો આપવાની સંમિત બતાવી છે અને આ પાણીનો જથ્થો જે તે સમયની જે તે તળાવની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાશે.