જગન્નાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ હાલ મંદિર દ્વારા જમીનનું 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. AMCએ ફાળવેલી ગૌચરની જમીન અન્યને રૂપિયા 800 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને ચેરિટી કમિશનર દ્વારા હાલ જમીનની રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કૌભાંડના આક્ષેપ મામલે 'મહામંથન'માં ચર્ચા કરવામાં આવી હતી.
જગન્નાથ મંદિરના નરસિંહદાસજીએ ગૌસેવા ટ્રસ્ટને ગાયો માટે જમીન આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના આ જમીન બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી છે. આમ, જમીન ગૌચર માટે આપી હોવા છતાં તેનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની તૈયારી થઈ ગઈ છે. ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું કામ કાજ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થવાની તૈયારીમાં છે.
આમ મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ મામલે પાલડીના એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેથી AMCએ નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે.
આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીવતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી છે. જેની સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ગૌચરની જમીન વેચી દેવાના કૃત્યને ગૌ રક્ષકો વખોડી રહ્યા છે અને જરૂર પડે આંદોલન કરવાની ચીમકી આપી છે. તો આ અંગે મંદિરના ટ્રસ્ટી મોહન ઝાએ કહ્યું કે, વિવાદિત જમીન ટ્રસ્ટની નહીં પણ મહારાજની માલિકીની છે. જમીન વેચી નથી પણ ભાડા પેટે આપી છે. જો ટ્રસ્ટીનું માનીએ તો આ જમીન અશાંતધારામાં આવતી નથી.