જગન્નાથપુરીમાં જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળતા અમદાવાદમાં પણ રથયાત્રા યોજાય તેવી આશા જાગી હતી. અમદાવાદીઓ, VHP, હિન્દુ યુવા વાહિની, હિન્દુ સંગઠનો, અમદાવાદ જગન્નાથજી મંદિર અને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રથયાત્રા યોજવા માગ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શરતો આધિન અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવામાં આવે. પરંતુ હાઇકોર્ટે તમામ અરજીઓ રદ્દ કરી દીધી છે. અમદાવાદમાં રથયાત્રા યોજવા મુદ્દે મોડી રાત્રે ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું કે, રથ મંદિરની બહાર નહીં નીકળી શકે, રથ મંદિરમાં જ બરોબર છે. સરકાર રથયાત્રાની નહીં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે. મહત્વનું છે કે આ અગાઉ પણ કોરોનાના કારણે રથયાત્રા પર હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.
જગન્નાથપુરીમાં રથયાત્રા યોજવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી
અમદાવાદ રથયાત્રાને લઈને હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી
ગુજરાત હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવી
ગુજરાત હાઇકોર્ટમાં રથયાત્રા યોજવા અરજી કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ યુવા વાહિનીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. ત્યાર બાદ VHPની અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. તેને પણ કોર્ટે ફગાવી દીધી હતી. અરજદારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને શરતોને આધારે મંજૂરી આપી છે. પુરીની રથયાત્રાને પરવાનગી તો અમદાવાદની રથયાત્રાને પરવાનગી આપો. જોકે હાઇકોર્ટે આ તમામ અરજીઓને ફગાવતા કહ્યું કે, રથ મંદિરમાં એજ બરોબર છે, રથ મંદિરની બહાર નહીં નીકળી શકે. ભક્તો વગરની રથયાત્રાનો કોઈ અર્થ નથી. કર્ફ્યૂના નામે કોઈને હેરાન ન કરાય.
હાઇકોર્ટે કહ્યું કે, પુરી અને અમદાવાદની સરખામણીના થાય. ધાર્મિક લાગણી ના દુભાય તે જરૂરી નથી સ્વસ્થ્ય જરૂરી છે. સરકાર લોકોના જીવની ચિંતા કરે, સરકાર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે.
મહંત દિલીપદાસજીએ પણ રથયાત્રાની મંજૂરી મળે તેવી આશા વ્યક્ત કરી હતી
કેટલીક શરતો સાથે જગન્નાથપુરીમાં રથયાત્રા યોજવા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ પણ આશા વ્યક્ત કરી હતી. પુરી રથયાત્રાને મંજુરી મળતા અમદાવાદમાં રથયાત્રાને પણ આશા જાગી હતી. અમદાવાદની રથયાત્રા પણ નિકળે એવી માંગ કરી હતી. દિલીપદાસજીએ કહ્યું હતું કે, મારી તમામ ભક્તોની અપીલ છે કે, મહામારીમાં સંયમ રાખીને ભગવાનના દર્શન કરજો. પુરીની જેમ અમદાવાદમાં પણ વર્ષોની પરંપરા જળવાય રહે અને નિયમોના પાલન સાથે રથયાત્રા નીકળે તેવું જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત અન્ય મહંતો અને આગેવાનોને પણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ રથયાત્રાની મંજૂરી આપશે. જોકે કોર્ટે મંજૂરી ન આપી.
રથયાત્રા નિકળવી જોઈએ તેમાં કૉંગ્રેસનું સમર્થન: અમીત ચાવડા
અમિત ચાવડાએ કહ્યું કે, રથયાત્રાને લઈ વહીવટી તંત્ર, ધારાસભ્યો તમામ સાથે વાત થઈ છે. રથયાત્રા નિકળવી જોઈએ તેમાં કૉંગ્રેસનું સમર્થન છે. રથયાત્રામાં જનતા કર્ફ્યુ રાખવો જોઇએ. સરકારે હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રજૂઆત કરવી જોઈએ. કોર્ટના નિર્ણયમાં સંયમ રાખીને યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવે. બાદમાં સરકાર કોર્ટમાં રજૂઆત કરે.
વર્ષોથી યોજાતી પરંપરા અવિરતપણે આગળ ધપાવો: ધાનાણી
પરેશ ધાનાણીનો CM રૂપાણીને પત્ર લખીને રથયાત્રાને મંજૂરી આપવા માગ કરી છે. ધાનાણીએ કહ્યું કે, વર્ષોથી યોજાતી પરંપરા અવિરતપણે આગળ ધપાવો. જગન્નાથ રથયાત્રા લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. રથયાત્રા આપણી એકતા-આસ્થાના કેન્દ્રબિંદુ સમાન છે. કોરોના સંક્રમણને રોકવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. સરકારે લોકોને ભગવાન ભરોસે મુક્યા છે. જગન્નાથજી સૌને જીવાડશે તેવી આસ્થા સાથે મંજૂરી મળે.
રથયાત્રાના રૂટ પરના કેટલાક વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટમાંથી મુક્ત કરાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ AMCની નવા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રથયાત્રાના રૂટ પરના કેટલાક વિસ્તારોને મુક્ત કરાયા છે. જેમાં ખાડીયા, સરસપુર, જમાલપુર, કાલુપુરના વિસ્તારો મુક્ત કરાયા છે. અગાઉ 35 માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી 29 વિસ્તારને મુક્તિ અપાઇ છે. જોકે શહેરમાં નવા 30 માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારને સમાવાયા છે.