વર્ષ 2018માં રથયાત્રાના આગલા દિવસે રાજપુર ટોલનાકા પાસે રહેતા લિસ્ટેડ બુટલેગર રફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરના ધાબા પરથી મળી આવેલા પાઇપ બોમ્બ, સૂતળી બોમ્બ તેમજ ૧ર બોરની પિસ્તોલના ચકચારી કેસમાં તમામ શકમંદને પોલીસે ક્લીનચીટ આપી છે.
રફીક સહિત ચાર શખ્સો તેમજ બાતમી આપનાર બાતમીદારના એફએસએલમાં સસ્પેક્ટ ડીટેક્શન સિસ્ટમ (એસડીએસ) ટેસ્ટ થયા હતા. એફએસએલમાં થયેલા એસડીએસ ટેસ્ટમાં તમામ શકમંદને ક્લિનચિટ આપી છે. ગુડ્ડુને ફસાવવાના ઇરાદે પ્લાન્ટ કરેલા બોમ્બ કાંડમાં પોલીસે સાચા ગુનેગારો સુધી પહોંચવા માટે નિષફળ સાબિત થઈ છે. ગોમતીપુર પોલીસે એક્સપ્લોઝીવ સબસ્ટેન્સ એક્ટ હેઠળ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
રાજપુર ટોલનાકા પાસે લિસ્ટેડ બુટલેગર રફીક સંધી ઉર્ફ ગુડ્ડુ હવાલદારના ઘરના ધાબે વર્ષ 2018ના રથયાત્રાના આગલા દિવસે પોલીસે સર્ચ કરતા નવીનક્કોર કાળી બેગમાંથી ૧૨ પાઈપ બોમ્બ, ૪ સૂતળી બોમ્બ, એક ૧ર બોરની પિસ્તોલ અને કેરોસીન ભરેલી બોટલ મળી હતી.
બોમ્બ અને પિસ્તોલ મળી આવતાં પોલીસે ગુડ્ડુ અને તેના પરિવારની અટકાયત કરી હતી. રથયાત્રાના આગલા દિવસે પોલીસને ગુડ્ડુના મકાનમાંથી મળી આવેલ બોમ્બ અને પિસ્તોલના પગલે પોલીસે શંકા ગઇ હતી કે ગુડ્ડુને ફસાવવા માટે કોઇ કાવતરું ઘડી રહ્યું છે. ગુડ્ડુ તેમજ તેના પરિવારની લાંબા ગાળાની પૂછપરછ બાદ પોલીસને આખો કાંડ પરિવારને ફસાવવા માટે ઘડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું, જેના કારણે પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો પરંતુ આરોપીમાં ગુડ્ડુ તેમજ તેમના પરિવારને બતાવ્યા નહીં.
આ કેસમાં ગોમતીપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે પચાસ કરતાં વધુ લોકોની પૂછપરછ કરી છે, પરંતુ હજુ સુધી ગુડ્ડુના ઘરમાં બોમ્બ કોણે મૂક્યા હતા તે જાણી શકાયું નથી. પોલીસને બાતમીદાર પર શંકા જઇ રહી હતીકે તેમને ગુડ્ડુને ફસાવવા માટે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. જેના કારણે પોલીસે બાતમીદાર તેમજ અન્ય ત્રણ શંકમદોનો એસડીએસ ટેસ્ટ કરવામાં આવશે.
એફએસએલે થોડાક દિવસ પહેલા બાતમીદાર સહિત ગુડડુ અને અન્ય બે લોકોને ક્લીનચીટ આપી છે. એફએસએલના રીપોર્ટ બાદ પોલીસે કેસને બંધ કરી દીધો છે.