કોરોનાના કહેરને ધ્યાને રાખીને આ વર્ષની 143મી રથયાત્રાની પરંપરામાં કેટલાક ફેરફાર કરાયા છે. આ વર્ષે માત્ર મંદિરના પ્રાંગણમાં જ જગન્નાથ યાત્રા કરશે તેવો નિર્ણય લેવાયો છે. જોકે અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી ચાલી હતી. આ તમામ અરજીઓને હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેથી હવે મંદિરના પટાંગણમાં જ રથયાત્રા યોજાશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જગન્નાથજી મંદિર ખાતે બેઠક પણ કરી હતી.
ભગવાન જગન્નાથજીની આરતી બાદ CM રૂપાણીએ બેઠક કરી હતી
બેઠકમાં મેયર, ગૃહ રાજ્યમંત્રી અને મંદિરના ટ્રસ્ટી-મહંત સહિતના લોકો હાજર રહ્યા હતા
અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓ શરૂ
રથયાત્રા યોજવા માટે અમદાવાદીઓ, જગન્નાથ મંદિર ટ્રસ્ટ, રાજ્ય સરકાર અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે આ અંગે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાય હતી. 4 જેટલી અરજીઓ પર ઓનલાઇન સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદની રથયાત્રાને મંજૂરી ન આપી. કોર્ટે તમામ અરજીઓ ફગાવતા કહ્યું કે, રથ મંદિરમાં એજ બરોબર છે, રથ મંદિરની બહાર નહીં નીકળી શકે. ભક્તો વગરની રથયાત્રાનો કોઈ અર્થ નથી. કર્ફ્યૂના નામે કોઈને હેરાન ન કરાય. પુરી અને અમદાવાદની સરખામણીના થાય. ધાર્મિક લાગણી ના દુભાય તે જરૂરી નથી સ્વસ્થ્ય જરૂરી છે. સરકાર લોકોના જીવની ચિંતા કરે, સરકાર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે.
રથયાત્રા અગાઉ પોલીસે કર્યુ હતું રિહર્સલ
મહત્વનું છે કે, જો કોર્ટે મંજૂરી આપી હોત તો ભગવાન ટ્રેક્ટરમાં નગરચર્યા પર જાય તેવી તૈયારી કરવામાં આવી હતી. આ માટે રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહે પણ સમીક્ષા કરી હતી. બીજી તરફ રથયાત્રાને મંજૂરીની શક્યતાને લઇને રથયાત્રાના રૂટ પર અમદાવાદમાં પોલીસે રિહર્સલ પણ કર્યું હતું. પરંતુ જોકે હવે રથ મંદિરની અંદર જ ફરશે.
મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિર ખાતે યોજી હતી બેઠક
સોમવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરવા CM રૂપાણી પરિવાર સાથે પહોંચ્યા હતા. આરતી બાદ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ CM રૂપાણી મહત્વની બેઠક કરી હતી. તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે CM બેઠક કરી હતી. જેમાં મેયર બિજલ પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંદિરના મહંત દિલીપદાસજી અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે રથયાત્રા અંગે ચર્ચા કરી હતી.
રથયાત્રાની શરતી મંજૂરી માટે રાજ્ય સરકાર કોર્ટમાં વિનંતી કરીઃ CM રૂપાણી
આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આરતી અને દર્શનનો લાભ મળ્યો છે. SCએ ઓરિસ્સામાં કોરોનાના કારણે રથયાત્રા ન નીકળે એવો ઓર્ડર કર્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે શરતો સાથે યાત્રા યોજવા મંજૂરી આપી હતી. ઓરિસ્સાની જેમ અમદાવાદમાં પણ રથયાત્રાની પરંપરા છે. તેથી કોર્ટના રિસ્ટ્રિક્શન મૂજબ રથયાત્રાની મંજૂરી માટે રજૂઆત કરીશું. રથયાત્રાની શરતી મંજૂરી માટે સરકાર કોર્ટને વિનંતી કરશે. હાઇકોર્ટ જે શરતો કહેશે તે મુજબ રથયાત્રાના આયોજનની તૈયારીઓ માટે સક્ષમ છીએ. આપણે રથયાત્રા કાઢી શકીયે તેવી શ્રદ્ધા છે. જોકે સરકાર તરફી એડવોકેટ દ્વારા કરવામાં આવેલી તમામ અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે.