અમદાવાદના ક્રિકેટપ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. BCCI ઈચ્છે છે કે IPL કોઈ પરેશાની-હોબાળા વિના શાંતિથી રમાય, જેથી ટી-૨૦ વિશ્વકપની યજમાનીને કોઈ જોખમ ના રહે. અમદાવાદને 12 IPL મૅચોની યજમાની મળી હોવા છતાં અમદાવાદવાસીઓ BCCIના આ નિર્ણયથી નિરાશ થાય એવી સંભાવના છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આઇપીએલની ૧૨ મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આઇપીએલની ૧૨ મેચની યજમાની મળી હોવાના વાતથી અમદાવાદી ક્રિકેટ ચાહકો ગેલમાં આવી ગયા હતા. જોકે ગત શુક્રવારે અને રવિવારે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી-૨૦ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને છલકાવી દેનારા અમદાવાદી ક્રિકેટ ચાહકોને હવે મોટો ઝટકો લાગે તેવા સમાચાર મળી રહ્યા છે. બીસીસીઆઇના સચિવ જય શાહે થોડા દિવસ પહેલાં આઇપીએલનો કાર્યક્રમ જાહેર કરતી વખતે કહ્યું હતું કે ટૂર્નામેન્ટના બીજા તબક્કામાં દર્શકોને એન્ટ્રી આપવા અંગે વિચારણા થઈ શકે છે, પરંતુ હવે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે સમગ્ર આઇપીએલમાં દર્શકોને પ્રવેશની મંજૂરી નહીં મળે. ગાંગુલીએ તાજેતરમાં કહ્યું, ''આઇપીએલ દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આટલી મોટી ટૂર્નામેન્ટ માટે જોખમી સાબિત થઈ શકે છે.''
દેશનાં છ શહેરોમાં રમાવાની છે આઇપીએલની ૧૪મી સિઝન
બીસીસીઆઇએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ચેન્નઈ અને અમદાવાદમાં રમાયેલી છેલ્લી ત્રણેય ટેસ્ટ મેચમાં ૫૦ ટકા દર્શકોને પ્રવેશની મંજૂરી આપી હતી, પરંતુ ગાંગુલીનું હવે માનવું છે કે ટેસ્ટ મેચ અને આઇપીએલની યજમાનીમાં મોટું અંતર છે. ગાંગુલીએ કહ્યું, ''જો તમે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપો ને ટીમ મેદાનમાં હોય તેમજ ટીમ સ્ટેડિયમની બહાર પ્રેક્ટિસ પણ કરી રહી હોય, કારણ કે ઘણાં સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પીચ સ્ટેડિયમની બહાર હોય છે અને ટીમ ત્યાં પ્રેક્ટિસ કરતી હોય છે. આ સ્થિતિમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવાથી શક્ય છે કે પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ અને દર્શકો એકબીજાની નજીક આવી શકે છે, જેના કારણે જોખમ વધી જાય છે.''
ગત વર્ષે પણ પ્રેક્ષકો વિના જ રમાઈ હતી આઇપીએલ
ઉલ્લેખનીય છે કે આઇપીએલની ૧૩મી સિઝન સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન યુએઈમાં દર્શકો વિના જ રમાઈ હતી. બીસીસીઆઇ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-૨૦ વિશ્વકપની યજમાની કરવાનું છે અને તે ઇચ્છે છે કે આઇપીએલ કોઈ પરેશાની-હોબાળા વિના શાંતિથી રમાય, જેથી વિશ્વકપની યજમાનીને કોઈ જોખમ ના રહે. ભારતમાં આયોજિત આઇપીએલ પર આઇસીસીની પણ નજર રહે છે. બીસીસીઆઇએ આઇપીએલ-૨૦૨૧નો કાર્યક્રમ બનાવતી વખતે એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી છે કે આઠ ટીમની આ ટૂર્નામેન્ટમાં બધી ટીમ માત્ર ત્રણ વાર યાત્રા કરે.