અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો સામે કાર્યવાહી
219 લોકોને નોટિસ આપી 28,350 રૂપિયાનો દંડ પણ ફટકારાયો
તમામ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી કરી
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. જાહેરમાં ગંદકી કરનારની દુકાનને સીલ કરી દંડની કાર્યવાહી હાથ ધરાશે. આ અંગે ખુદ AMC કમિશનરે રાઉન્ડ લઇને રોડ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જેમાં શહેરમાં 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે નોટિસ ફટકારી કુલ 28 હજાર 350 રૂપિયા જેટલો દંડ પણ ફટકાર્યો છે.
મ્યુનિસિપલ કમિશનરનો અધિકારીઓને કડક કાર્યવાહીનો આદેશ
તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને જાહેર રોડ પર કચરો ફેકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શાહીબાગ વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડફનાળા ચાર રસ્તા અને રાજસ્થાન હોસ્પિટલ સહિતના વિસ્તારો તો બીજી બાજુ પશ્ચિમ વિસ્તારમાં વાસણા, નવરંગપુરા, મેમનગર, નારણપુરા અને પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેકનારા કુલ 9 પાન પાર્લર, હોટલ અને દુકાનોને સીલ કરી દેવાઇ છે. જ્યારે 1.23 લાખથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
219 લોકોને નોટિસ આપી 28,350 રૂપિયાનો દંડ ફટકારાયો
271 જગ્યાએ તપાસ હાથ ધરી 219 લોકોને નોટિસ આપવામાં આવી અને 28,350 જેટલો દંડ પણ કરવામાં આવ્યો. જણાવી દઇએ કે, ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા માર્ટિનો'ઝ પિઝા, નવરંગપુરા લવકુશ પાન પાર્લર સહિતના 8 એકમોને ગંદકી બાબતે સીલ કરવામાં આવ્યા છે. જ્યારે પકવાન ચાર રસ્તા પાસે આવેલા જલારામ પરોઠા હાઉસને પણ ગંદકી બાબતે જાણ કરવામાં આવી અને ત્યાર બાદ બપોરે તપાસ કરવામાં આવતા ફરીવાર ગંદકી જોવા મળતા તેને પણ સીલ કરી દેવાયું.