શહેરના છેવાડે આવેલા સુઘડ ગામ પાસેના એક ફ્લેટમાં ગઇ કાલે ધોળા દિવસે ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સે પિરણીતાના ગળા પર ચપ્પુ મારીને કરપીણ હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પતિ સાંજે નોકરીથી ઘરે આવ્યો ત્યારે પત્નીની હત્યાની જાણ થઇ હતી.
સુઘડ ગામ નજીક આવેલ એસ.પી.રિંગ રોડ પાસે અગોરા મોલની બાજુમાં એટ્લાન્ટિક પાર્ક નામના ફ્લેટમાં રહેતા કૃણાલ ભીખુભાઇ બ્રહ્મભટ્ટે અડાલજ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી છે. કૃણાલ બ્રહ્મભટ્ટ એટ્લાન્ટિક ફ્લેટના બ્લ્યુસ એચ ૧૦૩માં રહે છે. ગઇ કાલે તે તેમના ઘરે હતા ત્યારે તે જ બ્લોકના ૨૦૧ નંબરના ફ્લેટમાં રહેતા સુધીર ચંદ્રપ્રકાશ શર્માની સાંજે ૬ વાગ્યાની આસપાસ બૂમો સાંભળવા મળી હતી. કૃણાલ દોડીને ગયા તો ત્યાં સુધીર શર્માની પત્ની ગૂંજન લોહીથી લથપથ હાલતમાં પડી હતી.
સુધીર શર્મા એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ એસ.વી.પટેલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને તે તેમની પત્ની ગૂંજન શર્મા અને બે વર્ષની પુત્રી ચાર્વી સાથે છેલ્લાં ચાર વર્ષથી એટ્લાન્ટિક પાર્કમાં રહે છે. ગઇ કાલે સુધીર શર્મા નોકરી પર ગયા હતા ત્યારે કોઇ અજાણ્યો શખ્સ તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને ગૂંજન શર્માના ગળાના ભાગે છરી વડે હુમલો કરીને ઠંડા કલેજે હત્યા કરીને જતો રહ્યો હતો.
સુધીર સાંજે નોકરીથી પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો થોડો ખુલ્લો હતો તે અંદર ગયા ત્યારે ગૂંજન લોહીથી લથપથ હાલતમાં પડી હતી. ગૂંજનની લાશ જોઇને સુધીર ભાંગી પડ્યા હતા અને તેમણેે એકદમ બુમાબુમ કરી દીધી હતી. ફ્લેટમાં રહેતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. હત્યાના સમાચાર મળતાંની સાથે જ અડાલજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે ગૂંજનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે ત્યારે અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગૂંજન અને ચાર્વી બપોરે એક વાગ્યાની આસપાસ તેમનાં ઘરે હતાં જેમાં ચાર્વીનો રડવાનો અવાજ આવતો હતો. સોસાયટીની બહાર એન્ટ્રી પોઈન્ટ પર કોઈ સીસીટીવી લગાવાયેલા નથી તેથી કોઈ પુરાવા હાથ લાગે તેવી શક્યતા નથી. ત્યારે આ હત્યા લૂંટ કે ચોરીના ઇરાદે નહીં પરંતુ કોઇ જાણભેદુએ કરી હોય તેવું પોલીસ માની રહી છે.
સુધીર શર્મા જ્યારે ઘરે આવ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો. જ્યાં તેમણેે ગૂંજનની લાશને જોઇ હતી અને ચાર્વીને શોધવા લાગ્યા હતા. ચાર્વી બેડરૂમમાં હતી અને બહારથી દરવાજાને સ્ટોપર મારી હતી. જેથી કોઇ જાણભેદુએ ચાર્વીને પહેલાં બેડરૂમમાં પૂરી હતી અને ત્યાર બાદ ગૂંજનની હત્યા કરી હતી. પોલીસે આ ચકચારી ઘટનામાં એફએસએલની મદદ લીધી છે ત્યારે ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્કોવોડને પણ બોલાવીને તપાસ શરૂ
કરી છે.