રાજ્ય (Gujarat) માં વાહનચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકી બેફામ રીતે પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે. જેના લીધે અનેક ગંભીર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ સામે આવતી રહે છે.
રાજ્યમાં અકસ્માતના બનાવોમાં ધીરે-ધીરે નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
સ્પીડમાં રોંગ સાઇડ આવી રહેલી થારે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર બંને યુવકના મૃત્યુ
અમદાવાદમાં મોડીરાત્રે કર્ણાવતી ક્લબ નજીક એક ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્પીડમાં રોંગ સાઇડ આવી રહેલી મહિન્દ્રા થારે બાઇકને જોરદાર ટક્કર મારતા ઘટનાસ્થળે જ બાઈક પર સવાર બંને યુવકના મૃત્યુ નિપજ્યા છે. જેમાં સુરેશ ઠાકોર અને સાગર કોઠારી નામના યુવકનું મૃત્યુ થયું છે. જો કે, આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી
નોંધનીય છે કે, હાલમાં પોલીસ દ્વારા અકસ્માતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે થાર કારની નંબર પ્લેટનાં આધારે પોલીસે હિટ એન્ડ રન કરીને ફરાર થઇ જનારા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. M ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કારચાલકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.