મોર્ડન લાઈફસ્ટાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ઘરે ઘરે મા-બાપ યુવાનોને કહી રહ્યા છે, આ બધી લાઈફસ્ટાઈલ સાથે ધાર્મિક પ્રવૃતિઓ અને મંદિરે જવાનું રાખો. પરંતુ અમદાવાદના ગોલ પરિવારનો આ કિસ્સો ગુજરાતના તમામ મા-બાપની આંખ ઉઘાડનારો છે. મા-બાપે ઉછીના પૈસા લઈ દીકરાને ભણાવ્યો અને દીકરો 60 હજારની નોકરી છોડી ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં સાધુ બની ગયો.
લાખો ખર્ચી દીકરાને ભણાવ્યોને અંતે સાધુ બની ગયો
કોલેજમાંથી બ્રેઈન વોશ કરી ધર્મેશને સાધુ બનાવ્યો
કોર્ટે સાધુને કહ્યું મા-બાપને 10 હજાર ભરણપોષણ આપો
60 હજારની નોકરી છોડી યુવાન સાધુ બન્યો
અમદાવાદના લીલાભાઈ ગોલ અને તેમની પત્નીએ દીકરા ધર્મેશ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે પેટે પાટા બાંધી અને ઉછીના પૈસા લઈ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કરાવ્યો. ઉચ્ચ અભ્યાસ વખતે જ અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ભાડજના સાધુઓ ધર્મેશની કોલેજમાં ધર્મ પ્રચાર અર્થે આવતાં. આ સમય દરમિયાન ધર્મેશ મંદિરના સંપર્કમાં આવ્યો અને સેવા આપવાની શરૂઆત કરી. વચ્ચે જ ધર્મેશને રિસર્ચ સાયન્ટીસ્ટ તરીકે 60 હજારના પગારની નોકરી મળી ગઈ.
હરેકૃષ્ણ મંદિરમાં ધર્મેશમાંથી ધર્મપુત્રદાસ તરીકે સંન્યાસ લીધો
લીલાભાઈ અને પત્નીને જીવનમાં ખુશીથી રહેવાનો અને પારિવારીક જવાબદારીઓથી મુક્ત થવાનો સમય હવે આવી ગયો હતો. ત્યાં એવું થયું કે ધર્મેશે નોકરી છોડી અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં સાધુ થવાનું નક્કી કર્યું. ધર્મેશના મા-બાપ પર જાણે આભ જ ફાટ્યું હોય. મા-બાપના અનેક સમજાવાટ હોવા છતાં પણ હરેકૃષ્ણ મંદિરના સાધુઓએ ધર્મેશના બ્રેઈન વોશના કારણે એ તેમને અને નોકરીને છોડી બસ સાધુ જ થવા માંગતો હતો. અંતે ધર્મેશ હરેકૃષ્ણ મંદિરમાં ધર્મપુત્રદાસ સાધુ થયો.
પોલીસ પણ યુવાન પુખ્ત વયનો હોવાથી મદદ ના કરી શકી
મા-બાપ અને ગોલ પરિવારે ધર્મેશ હરેકૃષ્ણ મંદિરની ફરી ઘરે લાવવાના અનેક પ્રયત્ન કર્યા પરંતુ બ્રેઈન વોશથી ભક્તિમાં ફસાયેલો ધર્મેશ(ધર્મપુત્રદાસ) બસ હવે સાધુ જીવન જ જીવવા માંગતો હતો. મા-બાપે મંદિરના મુખ્ય સાધુઓને સમજાવવા કહ્યું તો તેમણે તો કહી દીધું કે એ તો એની મરજીથી આવ્યો છે અમે તેને આવવાં કહ્યું જ નથી. અંતે લીલાભાઈ પત્ની સાથે અમદાવાદ પોલીસ કમિશ્નર શરણે પહોંચ્યા. પરંતુ ધર્મેશની ઉમર પુખ્ત હોવાથી અને કાયદાકીય જોગવાઈથી પોલીસ પણ મદદ ના કરી શકે.
કોર્ટે કહ્યું સાધુ બન્યા એટલે પારિવારીક જવાબદારીથી ન ભાગો
દીકરાને ધર્મમાં ખોઈ બેઠેલા લાચાર મા-બાપ અંતે કોર્ટના દ્વારે ચડ્યા અને તેમણે અમદાવાદ ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા. થોડા સમય માટે માતા-પિતાના ભરપોષણનો કેસ ચાલ્યો અને આજે સુખદ સમાચાર રૂપે કોર્ટે લીલાભાઈના સમર્થનમાં નિર્ણય આપ્યો. ફેમિલી કોર્ટે હરેકૃષ્ણ મંદિરના સાધુ ધર્મેશ ગોલ(ધર્મપુત્રદાસ)ને દર મહિને મા-બાપને 10 હજાર રૂપિયા ભરણ પોષણ આપવાનો આદેશ આપ્યો છે. અને નોંધ્યું કે યુવાનો મા-બાપ અને પારિવારીક જવાબદારીઓથી ભાગી સંન્યાસી ના થઈ શકે. અને જો થાય તો તેમના ભરષ પોષણની જવાબદારી તેમની જ છે.
પિતાને દીકરો ફરી આવવાની આશા
કોર્ટના આ નિર્ણયથી લીલાભાઈ અને પત્ની ખુશ તો છે પણ દીકરો ખોયાનો રંજ હજુ ઉતર્યો નથી. VTV News સાથે વાત કરતાં લીલાભાઈ કહ્યું હતું કે જો હરેકૃષ્ણ મંદિર તેનો સાથ છોડી દે તો મારો દીકરો ધર્મેશ ફરી ઘરે આવી જાય તેમ છે. અને અમે ફરીથી ખુશીની જિંદગી જીવી શકીએ તેમ છીએ.
(અહીં આલેખાયેલી તમામ વાત ધર્મેશ ગોલ(ધર્મપુત્રદાસ)ના પિતા લીલાભાઈ સાથે થયેલી વાતચીત મુજબ છે)