અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાં વારંવાર બનતી એટીએમમાં ચોરી અને તોડફોડની ઘટનાઓને પગલે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - RBI દ્વારા નવા આદેશ જારી કહેવામાં આવ્યા છે. તે મુજબ હવે રાજ્ય અને દેશભરમાં તમામ બેન્કોએ ૩૦ સપ્ટેબર ૨૦૧૯ સુધીમાં એટીએમની સુરક્ષા અર્થે એટીએમને ડિજિટલ વન ટાઈમ લોક સિસ્ટમથી સજ્જ કરવાં પડશે.
આ આદેશનું કડક પાલન કરવા માટે અને એટીએમની સુરક્ષા માટે આરબીઆઇએ તમામ સરકારી ,સહકારી અને ખાનગી બેન્કોને આદેશ કર્યો છે આ અમલ ખાનગી જ નહીં સહકારી બેન્કોએ પણ અમલી કરવો પડશે.
આ ઉપરાંત અન્ય બે મુદ્દાઓ પણ ગંભીરતાથી લઈને તેનો અમલ કરવા માટે બેન્કોને જણાવાયું છે. તે મુજબ એટીએમને મજબૂત રૂમમાં સીસીટીવી કવરેજની સાથે સ્ટેટ અથવા સેન્ટ્રલ સિક્યોરિટીની ટીમ તૈનાત કરવી પડશે. સપ્ટેમ્બરના અંત સુધી એટીએમ દીવાલ, જમીન અથવા થાંભલા સાથે જોડાયેલા હોવાં જોઈએ.
એરપોર્ટના એટીએમ ખૂબ સુરક્ષિત સ્થાનો પર હોય તો તેમને આ સૂચનામાંથી છૂટછાટ આપવામાં આવે છે. સાયબર ક્રાઈમ થકી થતા ગુનાઓ માટે તમામ બેન્કોએ પોલિસી બનાવી છે ત્યારે હવે ડિજિટલ લોક અને સેન્ટ્રલ કે સ્ટેટ સિક્યોરિટી ગોઠવવાનો અમલ બેન્કો કેટલા પ્રમાણમાં કરશે તે આગામી સમય કહેશે. બેન્કોએ કોઈપણ હાલતમાં આ નિયમોનું પાલન સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી કરવાનું રહેશે.