અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં લગાવેલ આરએફઆઈડી ગેટ બંધ થતાં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.
અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરના40 થી વધુ ગેટ બંધ હાલતમાં
ખાનગી વાહનોના પ્રવેસ અટકાવવા લગાવાયા હતા ગેટ
કરોડોનો ખર્ચ છતાં જનતાને લાભ ન મળતા ઉઠયા સવાલો
અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં લગાવેલ આરએફઆઈડી ગેટ શોભાના ગાંઠિયા બન્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી અકસ્માત ટાળવા લગાવેલા ગેટ શહેરમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને લઈને લોકોના પરસેવાના પૈસા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ જન્મી છે.
બીઆરટીએસ ગેટ બન્યા શોભાના ગાંઠિયા
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન ખર્ચ કરવામાં ક્યાંક પાછું નથી પડતું પરંતુ જે ખર્ચ કરવામાં આવ્યો હોય તેનો હેતુ સિદ્ધ કરવામા અનેક વખત ઊણું ઉતાર્યું છે. આવું જ કાઈક બન્યું અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં લગાવેલ આરએફઆઈડી ગેટના કિસ્સામાં. તંત્ર દ્વારા મોટેઉપાડે કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટીએસ કોરિડોરમાં આરએફઆઈડી ગેટ લગાવી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલ તે શોભાના ગાંઠિયા બન્યા છે. કોરિડોરમાં મોટા ભાગના ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અકાસ્મત ટાળવા અને ખાનગી વાહનો પ્રવેશ ન કરે તે માટે આ ગેટ લગાવામાં આવ્યા હતા પંરતુ હાલ મોટા ભાગના ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
40 ગેટ બંધ હાલતમાં છે
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા 250 થી વધુ ગેટ શહેરના બીઆરટીએસ કોરિડોરમાં લગાવ્યા હતા. કોન્ટ્રાકટર મારફતે આ ગેટ લગાવામાં આવ્યા હતા. જેમાં તંત્રના કેહવા મુજબ હાલ 40 ગેટ બંધ હાલતમાં છે જેને રીપેર કરી ફરી શરૂ કરવા કોન્ટ્રાકટરને કહેવામાં આવ્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં તેનો લાભ જનતાને મળતો ન હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. ગેટ બંધ હાલતમાં હોવાથી જો કોઈ ખાનગી વાહન પ્રવેશ કરે તો અકસ્માતની શક્યતા સેવાઇ રહી છે.