રિદ્ધિ-સિદ્ધિના સ્વામી એવા પ્રથમ પૂજનીય દેવતા દુંદાળા દેવ ગણેશજીના આરાધ્ય પર્વનો આજથી પ્રારંભ થયો છે. શહેરમાં પ૦૧ ગણેશ પંડાલ બનાવાયા હોઇ ત્યાં દસ દિવસ સુધી ગણેશજીની આરધનાની ધૂમ જામશે.
વડોદરાની માફક અમદાવાદમાં પણ ઘર ગણેશની સ્થાપનાનું મહત્ત્વ છેલ્લા પાંચ સાત વર્ષથી વધ્યું હોઇ ઘરે ઘરે સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના થશે. એક અંદાજ પ્રમાણે શહેરમાં દોઢ લાખ નાની મોટી મૂર્તિઓની સ્થાપના થઇને તેનું વિસર્જન કરાશે.
આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ગણેશ પ્રતિમાનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકાયો હોઇ તંત્ર દ્વારા રિવરફ્રન્ટ સહિત શહેરના વિભિન્ન સ્થળોએ કુલ ૬૦ કૃત્રિમ કુંડ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે બનાવાઇ રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર સૌથી વધુ ગણેશકુંડ બની રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન માટે ખાસ ગણેશકુંડ બની રહ્યા છે પરંતુ આ વખતે ખૂબ મોટી સંખ્યામાં ગણેશકુંડ બની રહ્યા હોઇ તેની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાંથી આશરે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સામાન્ય સાઇઝના એક કૃત્રિમ કુંડનો ખર્ચ રૂ.૪.પ લાખ થનાર છે. આ વખતે મૂર્તિની સંખ્યામાં પણ વધારો થયો હોઇ કૃત્રિમ કુંડની સંખ્યા ઉલ્લેખનીય બની છે. શહેરના મધ્યઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોન એમ કુલ સાત ઝોન પૈકી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૧૬ ગણેશ કુંડ બનશે.
જ્યારે મધ્ય ઝોનમાં ૧પ, ઉત્તર ઝોનમાં ૯, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ, દક્ષિણ ઝોનમાં ૬ અને પૂર્વ ઝોનમાં ૪ કૃત્રિમ કુંડ બની રહ્યા છે. ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં ઇન્દિરાબ્રિજ નીચે ર૪૦ મીટર લાંબી અને પ.૭પ મીટર પહોળો અને ૩ ફૂટ ઊંડો એવો વિશાળકાય આરસીસી કૃત્રિમ કુંડ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે.
આ ઉપરાંત સાબરમતીમાં અચેર સ્મશાનગૃહ પાસે, પાલડીમાં કોમલ એન્કલેવ પાછળ, નવરંગપુરામાં વલ્લભસદન ખાતે ૬૭ મીટર લાંબો ૮ મીટર પહોળો અને ર.૭૦ મીટર ઊંડો એવા ત્રણ મોટા કુંડ પણ મૂર્તિ વિસર્જન માટે તૈયાર થઇ રહ્યા છે. સૈજપુર તળાવ, મલેકસાબાન તળાવ, વડું તળાવ સહિતનાં સ્થળોએ પણ વિભિન્ન સાઇઝના કુંડ બનાવાઇ રહ્યા છે.
સાર્વજનિક ગણેશોત્સવની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવા ક્રેન નહીં ફાળવાય તેવા તંત્રનાં કડક વલણનાં પગલે આ વખતે પીઓપીના બદલે માટીની મૂર્તિની સ્થાપનાનું વલણ ગણેશભક્તોમાં જોવા મળ્યું છે. અમુક જગ્યાએ માટીની મૂર્તિનું વિસર્જન જે તે સ્થળે જ કરાશે. જોકે તંત્ર દ્વારા કૃત્રિમ ગણેશ કુંડમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા ૧પ ક્રેનની ફાળવણી કરાશે.