અમદાવાદ:નવરંગપુરા સ્ટેડિયમના પાછળના ભાગમાં આજરોજ પાણીની પાઈપ-લાઈનમા ભંગાણ થયું છે.મેટ્રોનું કામ થતા વચ્ચે પાઈપ લાઈનમાં ભંગાણ થતા આ ઘટના બની હતી. પાઈપ લાઈનમાં ભંગાણ થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારમા પાઈપ લાઈનમાં ભંગાણ થયાને 4 કલાક વીતી ગયા છતા પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે અને હવે સ્થાનિકો દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઉનાળો અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે તેમ છતાં ગરમી કાળઝાળ પડી રહી છે સામે પાણીની અછત તો ઉનાળાની શરૂઆતથી જ વર્તાઇ રહી છે ત્યારે આજરોજ અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમના પાછળના ભાગે ચાલતા મેટ્રો રેલના કામ દરમિયાન પાણીની પાઇપ-લાઇનમાં ભંગાણ થતાં પાણીની રેલમછેલ થઇ હતી.
આપને જણાવી દઇએ કે સ્ટેડિયમ પાસેના ઝુંપડામાં પાણી ફરી વળ્યા હોવાથી લોકો પોતે પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા છે.ચોમાસાને મહિના જેટલો સમય બાકી રહી ગયો છે ત્યારે ભર ઉનાળે પાણી ભરાવવાની આવી સમસ્યાથી ચોમાસાની કલ્પના જ કરવી મુશકેલ છે.
આ ઘટનાને પગલે રોડ પર પાણી ફરી વળ્યા હોવાથી રોડ પરથી પસાર થતા લોકોએ ચોમેરથી ફિટકાર વરસાવ્યો હતો. જો કે આ ઘટનાને અનેક કલાકો પસાર થવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પણ પગલા નહીં લેવામાં આવતા સ્થાનિકો પરેશાન થઇ ગયા હતા.