અમદાવાદ આજે 610 વરહનું થયું. માન્ચેસ્ટર, કર્ણાવતી, આશાવલ અને મેટ્રોસીટી જેવા થોકબંધ નામોથી જાણીતા બનેલ અમદાવાદની વિકાસની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી છે. આજે આ હડબડીયા( સતત દોડતા રહેતા) શહેરને વિશ્વની ઐતિહાસિક ધરોહરમાં સ્થાન મળ્યું છે.
અમદાવાદનો આજે 610મો સ્થાપના દિવસ
26 ફેબ્રુઆરી 1411ના અમદાવાદની થઇ સ્થાપના
"જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા" કહેવત બની જાણીતી
સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીથી શરૂ કરી આશાવલ ભીલ અને અંતે મુઝફ્ફર વંશના બીજા રાજવી અહેમદશાહ સુધીની યાદો અમદાવાદ સાથે જોડાયેલી છે.આશાવલ ભીલ રહેતો એટલે "આશાવલ" કર્ણદેવ સોલંકીએ ભીલ સેનાને હરાવી એટલે કર્ણાવતી અને અહેમદશાહ બાદશાહે વસાવ્યું એટલે અહેમદાબાદ અને વગેરે...વગેરે...
26 ફેબ્રુઆરી 1411ના અમદાવાદની થઇ સ્થાપના
એક લોકવાયકા પ્રમાણે જ્યારે અહેમદશાહ અહીંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક સસલાને કુતરાની પાછળ પડેલું જોયું. સસલાની આ હિંમત જોઇને બાદશાહને આ ભૂમિમાં રહેલ તાકાતને સલામ કરવાનું મન થયું અને 26 ફેબ્રુઆરી 1411ના રોજ વિધિવત રીતે આ શહેરની સ્થાપના કરવામાં આવી. સૌ પ્રથમ બાદશાહે માણેક બુર્જની સ્થાપના કરી હોવાનો ઇતિહાસ ધબકી રહ્યો છે.
"જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા"
"જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા" આ વાત અમદાવાદની વર્ષો જૂની યાદોને માલીકોર સંઘરીને બેઠેલા વડીલના મોઢે અચૂક સાંભળવા મળે છે. 10 કિલોમીટરની પરિમીતી ધરાવતા કોટમાં આ શહેર સમાયેલું હતું જેમાં 12 દરવાજા વડે અવર-જવર કરવામાં આવતી હતી જો કે કેટલાક લોકોના મોઢે 16 દરવાજા હોવાની વાત પણ સાંભળવા મળી છે.
આઝાદી બાદ રવિશંકર મહારાજના હસ્તે મહાગુજરાતની સ્થાપના થઇ અને અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું. એક સમયે કાપડ બજારમાં એક્કો ગણાતું આ શહેર કેટલીય કાપડ મીલો ધરાવતું હતું. એટલે જ કદાચ અમદાવાદને "manchester of india" તરીકે વિશ્વભરમાં જાણીતુ હતું.
સાયરન વાગે અને મીલમાં શિફ્ટ બદલાતી
સાયરન વાગે અને શિફ્ટ બદલાય તે વાત આજે ભૂતકાળ બની ગઇ છે. મીલ બહાર ઉભેલી ચીમનીઓ આજે પણ અમદાવાદના ઇતિહાસનું એક જમાપાસુ છે. જો કે, વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં ધીમે-ધીમે ચીમનીનું નામોનિશાન ધૂળમાં ભળી રહ્યું છે. કાલુપુરમાં આવેલ ટંકશાળ જ્યાં એક સમયે ચલણનું છાપકામ કરવામાં આવતું તે વાત બહું ઓછા લોકોને ખબર હશે.
અસ્સલ અમદાવાદની વાતો વાગોળતી પોળો
હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો નવ્વાણું નંબરવાળૉ ગીત સાંભળતા જ અસરાની યાદ આવે છે. ઓલા લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ...જેવા ગરબા અસ્સલ અમદાવાદની ઝાંખી કરાવે છે. સમય બદલાયો અને રીતભાત પણ બદલાઇ છે. ઠેર-ઠેર જોવા મળતી આભને આંબતી ઇમારતો અને સમય સાથે સતત તાલમેલ મીલાવી દોડતા રહેતા અમદાવાદીઓ અચૂક જોવા મળે છે પરંતુ પોળમાં રહેલા મકાનોની દિવાલોએ કાન રાખીને બેસીએ તો અસ્સલ અમદાવાદની વાતો જરૂર સાંભળવા મળે.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
કિશોર કુમારના કંઠે ગવાયેલ અમે અમદાવાદી....અમે અમદાવાદી જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી...ભાઇ અમે અમદાવાદી આજે પણ ક્યારેક આકાશવાણી પર સાંભળવા મળે છે. તો જનાબ આદિલ મન્સૂરી સાહેબની નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ગઝલ વિશ્વમાં ઠેક-ઠેકાણે વિખરેયેલા લોકોના દિલમાં અમદાવાદને ધબકતું રાખી રહ્યા છે.
અનેક પુસ્તકો લખાયા
અમદાવાદના ઇતિહાસ વિશે કેટલાય પુસ્તકો પણ લખાયા છે. જેમાં જામનગરના લેખક અર્ચિત રાવલે અમદાવાદના 603 વર્ષના ઇતિહાસને 2 પૂંઠા વચ્ચે આવરી લેવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે. 500થી વધુ પાનાં ધરાવતો આ ગ્રંથ આવનારી પેઢીને વારસારૂપે આપી શકાય તેવો છે.
ચિનુભાઈ અમદાવાદના પ્રથમ મેયર
1885માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ ચૂંટાઇ આવ્યા હતા. તો વર્ષ 1887માં અમદાવાદ શહેરનો કુલ વિસ્તાર માત્ર 5.72 ચોરસ કિલોમીટર હતો. 9 ફેબ્રુઆરી 1924થી 13 એપ્રિલ 1928 સુધી નગરપાલિકાના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ રહી ચૂક્યા છે.વાત જાણીને નવાઇ લાગશે કે, 1 જુલાઈ 1950માં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ અને ચિનુભાઈ ચિમનલાલ શેઠ અમદાવાદના પ્રથમ મેયર હતા.