અમદાવાદઃ દેવ ઓરમમાં આગની ધટના બાદ અમદાવાદનું ફાયર વિભાગ જાણે સતર્ક થઈ ગયું છે. ફાયર વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં આવેલી હાઇરાઇઝ ઇમારતોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ તપાસ દરમિયાન સુરક્ષાને લઈને ફાયર વિભાગ સામે કેવી કેવી બાબતો આવી જોઈએ તે જોઇએ અહીં.
બે દિવસ પહેલા અમદાવાદનાં પ્રભાતનગર વિસ્તારમાં દેવઓરામ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ બાદ હવે અમદાવાદ ફાયર વિભાગ જાણે સતર્ક થઈ ગયો છે. ઘટના બાદ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગ લાગવાનાં મામલે AMC કમિશનરે ફાયર વિભાગનાં ચીફ ફાયર ઓફિસરને શો-કોઝ નોટિસ ફટકારી હતી. કેમ કે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયરસેફ્ટીનાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ફાયર વિભાગની હોય છે અને ફાયર સેફ્ટીનાં સાધનો યોગ્ય છે કે નહીં તે ચકાસણી કરવાની જવાબદારી પણ ફાયર વિભાગની આવે છે. ત્યારે અમદાવાદમાં એક જ અઠવાડિયામાં અલગ-અલગ જગ્યાએ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટના બાદ અને પ્રેશર વધતાં શહેરમાં એક બાદ એક વિસ્તારમાં ફાયર વિભાગનાં અધિકારીઓએ સેફ્ટી ચેંકિંગ હાથ ધરીને સપાટો બોલાવી દીધો હતો.
ફાયર વિભાગ દ્વારા શહેરની બહુમાળી ઇમારતોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેનાં પગલે અમદાવાદનાં આનંદનગર અને પ્રહલાદનગર વિસ્તારમાં આવેલાં વિવિધ ટાવરોમાં જેવાં કે સચિન ટાવર, ધનંજય ટાવર, રાહુલ ટાવર સહિત અનેક ઊંચી ઈમારતોમાં ફાયર સેફ્ટી સુરક્ષાની સુવિધા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સામે એ માહિતી આવી છે કે, આ ટાવર અને વિસ્તારમાં વસતા નાગરિકો પાસે ફાયર સામે રક્ષણ માટેની સુવિધા તો છે. પરંતુ હાલ આ ઈમારતોમાં ફાયર સેફ્ટિની સુવિધા શોભાનાં ગાંઠિયા સમાન બની ગઈ છે. તમામ ટાવરની સિસ્ટમમાં ફાયર વિભાગને અનેક જગ્યાએ ખામી જોવાં મળી. ક્યાંક વાલ તૂટેલાં હતા તો ક્યાંક પાઇપ લીકેજ હતાં.
ફાયર વિભાગની ટીમે જ્યારે ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરી તો સામે આવ્યું કે કેટલાંક ટાવરમાંનાં રહીશો ફાયર સુવિધા વિશે જ અજાણ હતાં. તો ક્યાંક ફાયર સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કઈ-કઇ રીતે કરવો તેની જાણકારી જ ન હોતી. એટલું જ નહીં ઇમારતમાં આગ લાગી છે તેની માહિતી લોકો સુધી પહોંચાડવાં માટે ફાયર એલાર્મ મુકવામાં આવે છે પરંતુ ઘણાખરાં નાગરિકો તેનાં વપરાશ બાબતે પણ અજાણ હતાં. ફાયર વિભાગનાં ચેકિંગ ટીમનાં કર્મચારીઓ દ્વારા કેટલાંક ટાવરમાં ફાયર એલારામ વગાડવામાં આવ્યું તો પણ રહીશોએ તેને ધ્યાન પર લીધું ન હતું. તો ધનંજય ટાવરમાં તો પાછલાં ભાગમાં આગ લાગે તો ફાયરની ગાડી જઇ શકે તેમ જ નથી. આથી અહીં આગ લાગે ત્યારે લોકો કેવી મુશ્કેલીમાં મુકાઈ શકે તે બાબત ધ્યાન પર આવી હતી.
જો કે, શોપિંગ મોલ કે થીયેટરમાં ફાયર સુવિધાનો અભાવ જણાય તો તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવે છે. પરંતુ શહેરમાં અનેક ઠેકાણે રેસીડેન્શિયલ વિસ્તારની ફાયર સુવિધા શોભાનાં ગાંઠીયા સમાન બની રહી છે. ત્યારે હાલમાં તો ફાયર વિભાગ દ્વારા માત્ર નોટીસ આપવામાં આવી રહી છે. હવે નોટીસ બાદ નાગરિકો સજાગ બને છે કે પછી નોટીસ માત્ર આગમાં સળગાવવા જેવો ટુકડો બની રહે છે તે જોવું રહ્યું.