અમદાવાદ: સભ્ય-સમાજ વચ્ચે આપણે જોયું છે કે સમાજ સેવાના નામે મસમોટા કૌભાંડો સામે આવતા હોય છે. જોકે આજે અમે આપને એક સમાજ સેવકની વાત કરવા જઇ રહ્યા છીએ જેને જોઈને તમે પણ કહેશો....આને કહેવાય `પાણીદાર સેવા'..ક્યાં શહેરના છે આ સમાજ સેવક તે જાણી આપને પણ લાગશે નવાઇ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર એક તરફ રાજ્યમાં ટેન્કર રાજ ખત્તમ કરવાની વાતો જોરશોરથી કરે છે. જોકે અમદાવાદ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી સમયસર ન પહોંચતા હવે શહેરના જ સામાજીક કાર્યકરે લોકોની તરસ છુપાવવા આ મુહીમ ઉઠાવી છે. એક વિકલાંગ ભાઈ જેણે સમાજસેવાનું આ કદમ ઉઠાવી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમનું નામ ફારૂકભાઈ રંગરેજ છે.
ફારૂક ભાઈ પોતે વિકલાંગ છે અને તેમને કીડનીની તકલીફ પણ છે જોકે લોકસેવા માટે બિમારીને ભુલીને સમાજ સેવા તેઓ હસ્તા મોઢે કરી રહ્યા છે. આ સમાજ સેવામાં તેમનો આર્થીક સાથ મોહસીન દોસાણી આપી રહ્યા છે. આ બંને સામાજીક કાર્યકરે લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે જાતે બોર બંધાવ્યો છે અને લોકોને પાણી પૂરું પાડી રહ્યા છે.
હવે આપને જણાવી દઈયે કે અમદાવાદમાં ખાનગી પાણીના 250થી વધુ ટેન્કર સપ્લાયર છે. એક ટેન્કર સપ્લાયર રોજના 30થી 40 ટેન્કર મોકલે છે અને ટેન્કર દિઠ 400થી 700 રૂપિયા સુધી ભાડું વસૂલે છે. તેવામાં સરખેજના સામાજિક કાર્યકર મહીને રૂપિયા 1 લાખથી વધુના સ્વખર્ચે લોકોને પીવાના પાણીની નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે.
ફારૂકભાઈ 45 ડિગ્રી ગરમીમાં પણ લોકોની પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય તે માટે તમામ પ્રયત્નો કરે છે. શહેરના નારોલ રામોલ વટવા નવરંગપુરા જુહાપુરા ફતેવાડી જેવા અનેક વિસ્તારોમાં સામાજીક કાર્યકરો પાણી ટેન્કરો દ્વારા પહોંચાડે છે. હવે આપને એ પણ જણાવી દઈયે કે આ બંને કાર્યકરો લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યક્રમો કે ઉધોગોના વપરાશ માટે પાણી આપતા નથી.બંને કાર્યકરોનો ઉદ્દેશ માત્ર સ્થાનિકોની પાણી પહોંચાડવાનો છે.
હાલ તો બંને કાર્યકરો દ્વારા પાણી વિતરણની ઉત્તમ સેવા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. જોકે આ અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ સરકાર પણ લોકોને ઘરે-ઘરે પાણી પહોંચાડે અને ટેન્કર પ્રથા બંધ કરવાનું વચન સાર્થક કરે તે જરૂરી છે.