ડોક્ટરોને ભગવાનનું રૂપ માનવમાં આવે છે.હોસ્પિટલોને જીવનદાયીની કહેવામાં આવે છે પરંતુ અત્યારની હોસ્પિટલો જીવનદાયીની નહીં પરંતુ રૂપિયા ખંખેરનારી બની ગઈ છે.આવો જ એક કિસ્સો અમદાવાદની એક હોસ્પિટલમાં સામે આવ્યો છે.જ્યાં સારવારના નામે એક દર્દી પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાયા અને વધુ રૂપિયા આપવાની ના પાડી તો ધક્કામારીને દર્દીને હોસ્પિટલમાંથી બહાર ફેંકી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે માનવતા ભુલી જઈ કસાઈ કરતા પણ વધુ ખરાબ હાલતે માણસોને લુંટતા દવાખાનાઓની ઘટનામાં એક નવો કેસ સામે આવ્યો છે. જેમાં એક દર્દી પાસેથી મનમાન્યા રૂપિયા તો પડાવ્યા પરંતુ વધુ રૂપિયા ન આપતા તેને હોસ્પિટલમાંથી જ કાઢી મુકાયો. આ ઘટના છે અમદાવાદની હોપ ન્યુરોકેર હોસ્પિટલની.સાબરકાંઠાના મહીવાડી ગામના એક દર્દી પરથીભાઈને દાખલ કરવામાં આવ્યા હતા.પરથીભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા.
જેથી તેમને સારવારઅર્થે ઈડરથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા અને હોપ ન્યુરોકેર હોસ્પિટલમાં તેમને સારવારઅર્થે દાખલ કરાયા હતા.પરથીભાઈની સ્થિતિને જોતાં હોપ ન્યુરોકેર હોસ્પિટલના ડોક્ટરોએ 5 થી 6 લાખ રૂપિયાના ખર્ચની વાત કરી હતી અને 15 દિવસમાં જ ઓપરેશન કરી રજા આપી દેશે તેવું જણાવ્યું. પરંતુ આજે તે વાતના ત્રણ મહિના વીતી ગયા.દર્દીને રજા આપવાની વાત તો ઠીક પરંતુ 5 લાખની જગ્યાએ 12 લાખ રૂપિયા પડાવી લીધા છે અને હજૂ પણ રૂપિયાની ભૂખ ન સંતોષાતા વધુ રૂપિયાની માગ કરાઈ રહી છે.આ પ્રકારની ઉઘાડી લૂંટના પગલે આખરે દર્દીઓના સગાને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ પાસે મદદનો હાથ લંબાવવાની ફરજ પડી છે.
સારવારના નામે અમદાવાદના આ હોપ ન્યુરોકેરે ગરીબ પરિવાર પાસેથી 12 લાખ રૂપિયાની ઉઘાડી લૂંટ કરી.જેમાં 9 લાખ રૂપિયા હોસ્પિટલના ખર્ચના નામે અને 3 લાખ રૂપિયા દવા ખર્ચના નામે વસૂલ્યા.પરંતુ દર્દીની હાલતમાં કોઈપણ પ્રકારનો સુધાર જોવા ન મળ્યો.પહેલા દિવસે જેવી હાલત હતી તેવી જ હાલત આજે છે.દર્દીના સગાઓ જ્યારે જયારે પરિસ્થિતિ વિશે પુછે ત્યારે વધુ પૈસા ભરો હજુ એક ઓપરેશન કરવુ પડશે તેમ કહી વારંવાર પૈસાની માંગણી કરી.
ગરીબ પરિવારે પોતાની મિલ્કત વેચી મારી પણ ત્યાં હોસ્પિટલનું બીલ ન ભરાયું. આ પરિવારે વધુ રૂપિયા ન હોવાનું કહ્યું તો દર્દીને રજા આપી સિવિલમાં દાખલ કરવા મજબુર કર્યું.એટલુ જ નહીં હોસ્પિટલ દ્વારા જે રકમ વસુલાઈ છે તેના બીલો હોસ્પિટલના લેટરપેડ પર હાથથી લખીને અપાયા છે. એટલે કે લાખો રૂપિયાના ટેક્સની ચોરી કરવાની પણ હોસ્પિટલની આ નવી રીત સામે આવી છે.
મહત્વનું છે કે દર્દીની પત્નીએ પોતાની આખી સંપત્તિ વહેંચી નાખી.જે બાદ આ ગરીબ પત્નીએ હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી તો માનતા નેવે મુકી હોસ્પિટલના મેનેજમેન્ટે પોલીસ કેસની ધમકી આપી અને રૂપિયાની વ્યવસ્થા કરો અથવા હોસ્પિટલ ખાલી કરોનું સૂચન આપી મરજી વિરુદ્ધ દર્દીને હોસ્પિટલમાંથી કાઢી મુકવામાં આવ્યું.
હોપ ન્યુરોકેર હકીકતમાં હોપલેસ હોસ્પિટલ બની ગઈ છે. જોકે મીડિયા અને ગ્રાહક સુરક્ષાના એન્ટર થવાથી 4 લાખ રૂપિયા માફ તો કર્યો પરંતુ દર્દીને ફરીથી એડમીટ ન કર્યો.જેથી આ દર્દીનો સિવિલનો સહારો લેવો પડયો. પરંતુ આવા પ્રકારની લાખોની લૂંટ કરતી હોસ્પિટલો માનવતાના નામે એક ધબ્બો છે.જેથી આવી ગરીબો પૈસા લૂંટતી હોસ્પિટલો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ.આશા રાખીએ કે સરકાર અને તંત્ર આવી હોસ્પિટલોની મનમાની સામે કડક પગલા ઉઠાવશે.