સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ DPS સ્કુલ પણ વિવાદમાં આવી હતી. જેમાં આ સ્કુલના ખોટા પુરાવાઓ મામલે CBSEએ માન્યતા રદ્દ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં મુકાયું હતું. વાલીઓ દ્વારા શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરાઇ હતી. ત્યારે હવે શિક્ષણમંત્રીએ આ શાળા મામલે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.
DPS સ્કૂલને રાજ્ય સરકાર હસ્તક લેવાઈ
સત્ર પુર્ણ થાય ત્યા સુધી સરકાર હસ્તક રહેશે સ્કૂલ
નવા સત્રથી વિદ્યાર્થીઓએ અન્ય સ્કૂલમાં અભ્યાસ કરવો પડશે
રાજ્ય સરકારે અમદાવાદની DPS ઇસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું હતું કે DPS સ્કૂલને રાજ્ય સરકાર હસ્તક લેવાઈ છે. આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે. ધોરણ ૧થી ૧૨ના જે વિદ્યાર્થીઓ હાલ આ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળામાં અભ્યાસ કરવા દેવાશે.
મહત્વનું છે કે, સત્ર પૂર્ણ થાય ત્યા સુધી સ્કૂલનુ સંચાલન રાજ્ય સરકાર કરશે. નવા સત્રથી વિદ્યાર્થીઓએ અન્ય સ્કૂલમાં અભ્યાસ કરવો પડશે. અન્ય સ્કૂલમાં એડમિશન બાબતે સરકાર મદદ કરશે.
રજૂઆતોને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય
રાજ્ય સરકારે DPS મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને રાજ્ય સરકારના ઈતિહાસમાં પ્રથમવાર આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય સાશનની જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય કરવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે CBSE દ્વારા DPS ઇસ્ટ અમદાવાદ સ્કૂલની માન્યતા રદ્દ કરવાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે CBSEના ચેરમેન સાથે પરામર્શ કર્યો હતો.
CBSEના અધિકારીઓએ સાથે કરાઇ હતી બેઠક
આ સંદર્ભમાં CBSEના વરિષ્ઠ અધિકારી ચતુર્વેદી અને અજમેરની રિજિયોનલ ઓફિસના અધિકારી પૂનમબહેને ગુજરાત આવીને શિક્ષણના અધિકારીઓ, વાલીઓ સાથે મુલાકાત કરી હકીકતો મેળવી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે તેમની સાથે પણ CBSEના અધિકારીઓએ બેઠક કરીને પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ સમગ્ર મુલાકાતના નિષ્કર્ષથી શિક્ષણ મંત્રીએ માહિતગાર કર્યા હતા.
વિજય રૂપાણીએ પણ વિદ્યાર્થીઓના વિશાળ હિતને અગ્રતા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીએ પ્રચાર માધ્યમો સમક્ષ આ અંગેની વિગતવાર માહિતી આપી તે વેળાએ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે તથા શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.