દોઢ મહિનાથી 200 શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં હોવાનો મામલો સામે આવ્યો છે, જે મામલે અમદાવાદ DPEOએ કાર્યવાહીની સૂચના આપી છે.
છેલ્લાં દોઢ મહિનાથી 200 જેટલાં શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં
200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં
અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના
શિક્ષકોને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. શાળાઓના ગુલ્લીબાજ શિક્ષકોની વિગત સામે આવી છે. છેલ્લાં દોઢ મહિનાથી શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં હોવાનું સામે આવ્યું છે. 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં હતાં. આથી, આ મામલે જાણ થતા જ અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે કાર્યવાહી કરવાની અમદાવાદ DPEOએ સૂચના આપી છે.
અમદાવાદ DPEOના આદેશથી ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ!
જો કે, બીજી બાજુ અમદાવાદ DPEOના આદેશથી ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે અહીં કેટલાંક પ્રશ્નો પણ ઊભા થાય છે જેમ કે, આખરે આ ગુલ્લીબાજ શિક્ષકો કરતા શું હશે? શું ખરેખર તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા નહીં હોય. કે પછી શું તેઓને બરાબર ભણાવતા નહીં આવડતું હોય? અથવા તો શું વિદ્યાર્થીઓને ભણવું નહીં હોય એટલાં માટે શિક્ષકો આવું કરે છે? શું ખરેખર દોઢ મહિનાથી જ શિક્ષકોએ વિદ્યાર્થીઓને નહીં ભણાવ્યા હોય કે પછી આવું ઘણા સમયથી ચાલતું હશે? શું આ શિક્ષકોને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઇ જ ચિંતા નહીં હોય? જેવાં અનેક સવાલો મનમાં ઊભા થતા હોય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ મામલે ખરેખર શિક્ષણ વિભાગ કોઇ એક્શન લેશે કે પછી?
વધુમાં જણાવી દઇએ કે, શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પુરાતી ઓનલાઇન હાજરીમાં ગુલ્લીબાજ શિક્ષકોની વિગતો સામે આવી છે. ઓનલાઇન હાજરીની વિગતોના આધારે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની શિક્ષણ વિભાગે તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા વિવિધ જિલ્લાઓમાં મોકલેલી વિગત મુજબ રાજ્યમાં અંદાજે 2 હજાર જેટલાં શિક્ષકો છેલ્લાં 3 મહિનામાં કામના કુલ દિવસો પૈકી 50 ટકા જેટલાં દિવસોમાં ઓન ડ્યુટી દર્શાવેલી છે.
એનો અર્થ એ થયો કે આ શિક્ષકોએ 3 મહિનામાં દોઢ મહિના સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા જ નથી. એ સિવાય, 200થી વધુ શિક્ષકો એવાં છે કે જે 3 મહિનાના વર્કિંગવાળા 71 દિવસમાંથી માત્ર 3 કે 4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં છે. જેમાંથી કેટલાંક શિક્ષકો તો એવાં છે કે, જેઓ છેલ્લાં 3 મહિનામાં એકપણ દિવસ સ્કૂલમાં હાજર રહ્યાં નથી.
છેલ્લાં 3 મહિનાના કાર્ય દિવસોમાં 80 ટકા કરતા વધારે ગેરહાજર બાળકો
નિયામક કચેરીએ કરેલાં પરિપત્રમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ છેલ્લાં 3 મહિનાના કાર્ય દિવસોમાં 80 ટકા કરતા વધારે ગેરહાજર બાળકોની વિગતો, 3 મહિનામાં 50 ટકા કરતા વધુ ગેરહાજર શિક્ષકોની વિગતો, ત્રણ મહિનામાં 15 દિવસથી વધુ ઓનડ્યુટી શાળાથી બહાર રહેલા શિક્ષકો અને 15 દિવસથી વધારે ટ્રેનિંગ અર્થે શાળાથી બહાર રહેલા શિક્ષકોની વિગતો વિવિધ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને મોકલી આપી છે.
સળગતા સવાલ?
શું આ શિક્ષકોને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઇ જ ચિંતા નહીં હોય?