સ્માર્ટ સિટી બનવા જઇ રહેલા અમદાવાદ શહેરને રખડતાં ઢોર, રખડતા કૂતરાં, બિસ્માર રસ્તા, ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સતત પરેશાન કરે છે. આ સમસ્યા કરતાં પણ વધુ જવલંત સમસ્યા પીરાણા ખાતેની કચરાનો ડુંગર છે.
મ્યુનિ. તંત્ર દ્વારા 40 ટ્રોમેલ મશીન મૂકવાનો દાવો પોકળ નિવડ્યો
અત્યારે 12 ટ્રોમેલ મશીન કામે લગાડાયાં હોઇ વધુ 8 ટ્રોમેલ મશીન બાયોમાઇનિંગ માટે મુકાશે
સમગ્ર શહેર માટે પીરાણા ડંપસાઇટ માથાનો દુઃખાવો બની છે. શહેરમાં સતત વધતા જતા વાયુ પ્રદૂષણ માટે પીરાણા ડંપસાઇટ પણ સીધી રીતે જવાબદાર છે. આ ડંપસાઇટનો એક વર્ષમાં નિકાલ કરવાની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તંત્રને તાકીદ કરાઇ છે. પરંતુ જે પ્રકારે સત્તાવાળાઓનો બાયોમાઇનિંગ પ્રોજેકટ ચાલી રહ્યો છે તેને જોતા પીરાણાનો કચરાનો ડુંગર ચાર વર્ષેય સાફ થવાનો નથી.
સમગ્ર શહેર માટે પીરાણા ડંપસાઇટ પર સતત ઠલવાતો જતો કચરો મોટો પ્રશ્ન બન્યો છે. પીરાણા કચરાના ડુંગરથી આસપાસ રહેતા લોકોનું જીવન તો નર્કાગાર બની જ ગયું છે. પરંતુ છેક પશ્ચિમ કાંઠા પર આવેલા વાસણા સુધી આ કચરાની દુર્ગંધ ફેલાતી હોઇ વાસણાવાસીઓ પણ તોબા પોકારી ગયા છે.
તંત્ર દ્વારા અગાઉ પીરાણા ડંપસાઇટને 'કેપિંગ' કરીને ઢાંકી દેવા માટેનો પ્રોજેકટ તૈયાર કરાયો હતો. જોકે મુંબઇમાં કેપિંગ પ્રોજેકટ નિષ્ફળ નીવડયો હોઇ અમદાવાદમાં પણ અનેક વાદ-વિવાદ, મત-મતાંતરના અંતે તેને પડતો મૂકાયો હતો. ત્યાર બાદ હવે સત્તાવાળાઓએ કચરાના ઢગલાના નિકાલ માટે બાયોમાઇનિંગ પ્રોજેકટ અમલમાં મૂક્યો છે.
40 ટ્રોમેલ મશીનની વ્યવસ્થા કરવાનો દાવો કર્યો હતો
બાયોમાઇનિંગ પ્રોજેકટ હેઠળ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક, કપડાં, ગાભા વગેરે વેસ્ટ મટીરિયલ છૂટું પાડીને તેમાંથી સિમેન્ટ, પેવર બ્લોક વગેરે બાય પ્રોડકટ ઉત્પન્ન કરાય છે. બાયોમાઇનિંગ પ્રોજેકટ હેઠળ ચોમાસા બાદ તંત્રે 40 ટ્રોમેલ મશીનની વ્યવસ્થા કરવાનો દાવો કર્યો હતો. જોકે તંત્રનો આ દાવો પોકળ નીવળ્યો છે. જાણકાર સૂત્રો કહે છે અત્યારે માત્ર 12 ટ્રોમેલ મશીન કામે લગાડાયાં છે અને આગામી બે-ત્રણ મહિનામાં વધુ 8 ટ્રોમેલ મશીન કાર્યરત કરાશે.
તાજેતરમાં મળેલી હેલ્થ કમિટીમાં ટ્રોમેલ મશીનમાં કચરો ઠાલવવા એસ્કવેટરી ખરીદીના રૂ.6.50 કરોડના વિવિધ ટેન્ડરને મંજૂર કરાયાં હતાં. જે હેઠળ અલગ અલગ ક્ષમતાના કુલ 18 એસ્કેવેટરને આગામી દિવસોમાં કામે લગાડાશે. અત્યારે જેસીબી મશીનથી કચરો ઉપાડીને ટ્રોમેલ મશીનમાં ઠલવાતો હોઇ તેની કામગીરીમાં વિલંબ થાય છે.
જોકે આજની સ્થિતિએ પીરાણા ડમ્પસાઇટ પર 100 લાખ મેટ્રિક ટન કચરાનો ઢગલો ખડકાયો છે. તંત્ર દ્વારા બાયોમાઇનિંગ પદ્ધતિથી અત્યાર સુધીમાં માત્ર ત્રણ લાખ મેટ્રિક ટન ઢગલાને ખાલી કરાયો છે. એટલે ડમ્પસાઇટ પરથી તમામ કચરાનો નિકાલ કરતાં તંત્રને ચાર વર્ષ લાગશે.
તમામ કચરાનો નિકાલ લાવતા ચાર વર્ષ તો લાગશે
આ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેકટર હર્ષદ સોલંકીને પૂછતાં તઓ કહે છે, બાયોમાઇનિંગ પ્રોજેકટ હેઠળના ટ્રોમેલ મશીનની કામગીરી નિહાળવા અત્યારે ત્રણ સીસી ટીવી કેમેરા મુકાયા છે તેમાં વધારો કરાશે. બાયોમાઇનિંગની સાઇટ પર ખાસ મોનિટરિંગ રૂમ તૈયાર કરાયો છે, પરંતુ ડમ્પસાઇટના તમામ કચરાનો નિકાલ લાવતા ચાર વર્ષ તો લાગશે. આનો અર્થ એ છે કે હજુ ડિસેમ્બર 2023 સુધીના કચરાના ડુંગરની દુર્ગંધ સહન કરવી પડશે. આ ઉપરાંત વર્ષમાં 10થી 12 વખત આગ ફાટી નીકળતી હોઇ શહેરીજનોને વાયુ પ્રદૂષણ પણ સહેવું પડશે. તેમ છતાં કચરાનો નિકાલ કરાયા બાદ તે જગ્યા પર પાછો કચરો ઠલવાઇ રહ્યો હોવાનો વિવાદ પણ ઊઠયો છે. આમ પીરાણા ડમ્પસાઇટ હજુ પણ વિવાદાસ્પદ બનશે.