દુનિયાભરમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાના અનેક કેસોમાં દર્દીઓને સાજા થવામાં થોડા દિવસો લાગે છે. અમદાવાદના દેવેન્દ્ર પરમારે 113 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી છે. આજે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે. દેવેન્દ્ર પરમારે તબીબોનો આભાર માન્યો. નીતિન પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
કોરોનાની સૌથી લાંબી સારવાર લેનાર દર્દી આજે ડિસ્ચાર્જ
દેવેન્દ્ર પરમારે 113 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી
90 દિવસથી દેવેન્દ્ર પરમાર ICUમાં હતા
કોરોનાને લઇને રાજ્યમાં સૌથી લાંબી સારવાર લેનાર દર્દી આજે ડિસ્ચાર્જ લઇ રહ્યાં છે. દેવેન્દ્ર પરમાર નામના દર્દીએ 113 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી. દેવેન્દ્ર પરમારે કોરોનાવોરિયર્સ તબીબોનો આભાર માન્યો છે.
59 વર્ષીય દેવેન્દ્ર પરમાર 90 દિવસથી ICUમાં હતા. રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ નિવેદન આપ્યું કે 113 દિવસ બાદ કોરોનાને હરાવ્યો છે, લાંબી સારબાદ દેવેન્દ્ર પરમાર ઘરે જશે.
ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 1115 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર હતા. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ સાજા થવાનો દર વધ્યો છે.
ગઇકાલની પ્રેસનોટ અનુસાર 1115 નવા કેસ સામે આવ્યા હતા. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,32,188 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 92.82 ટકા છે. રાજ્યમાં આજે 54,835 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 88,89,965 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. તો ડાંગ અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.
અમદાવાદમાં સૌથી વધુ મોતનો સિલસિલો યથાવત્
રાજ્યમાં આજે અમદાવાદમાં 4, સુરતમાં 3 અને બોટાદમાં 1 દર્દીના મોત સાથે કુલ 8 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 224-ગ્રામ્યમાં 8 કેસ, સુરત શહેરમાં 138-ગ્રામ્યમાં 31 કેસ, વડોદરા શહેરમાં 103-ગ્રામ્યમાં 41 કેસ, રાજકોટ શહેરમાં 101-ગ્રામ્યમાં 28 કેસ અને મહેસાણામાં 50 કેસ નોંધાયા છે.