ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના નામથી અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. ઢબુડી માતાના વીડિયો બાદ ચર્ચામાં આવેલા ધનજી ઓડ ઉર્ફ ઢબુડી માતાનો ફોટો સામે આવ્યો છે.
કોણ છે આ અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માઁ ?
ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.
લાખો રૂપિયાની કમાણી થાય છે ઢબુડી માઁના કાર્યક્રમમાં
ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માના પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યુટ્યુબમાં વીડિયો ચડાવતાં રહે છે. યુટ્યુબમાં લગભગ 20 લાખ જેટલાં ફોલોઅર્સ પણ છે. ઢબુડી મા જે શહેરમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી પહોંચી જાય છે.
ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડનું નિવેદન
VTV સાથે વાતચીત કરતા ધનજી ઓડે જણાવ્યું હતું કે, બોટાદના બનાવ અંગે મને કોઇ ખ્યાલ જ નથી. આ બનાવ આજે પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ પોતાનો બનાવ છે. તે વ્યક્તિ ક્યારેય મને મળ્યો નથી અને ક્યારેય તેણે આવીને કહ્યું નથી કે, મારા દિકરાને આ પ્રકારની તકલીફ છે. આ સ્થળ એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં કોઇપણ પ્રકારના દોરા-ધાગા કરવામાં આવતા નથી. જેને આસ્થા હોય, શ્રદ્ધા હોય કે વિશ્વાસ હોય તે જ વ્યક્તિ અહીં આવતી હોય છે.
ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે વધુમાં કહ્યું હતું કે, મારી પાસે એક હજાર લોકો આવતા હોય છે તેમાંથી 700 લોકોનું કામ થાય અને કોઇ કારણોસર 300 લોકોનું કામ ન થાય તો તેને હું માર્ગ દેખાડું છું. જે લોકો મારી પાસે આસ્થાથી આવે છે તેના કામ થાય જ છે.