અમદાવાદ નંદમ ફેક્ટરીમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 7 થઈ ગયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. પરિવારજનોનું કહેવું છે કે, ફેક્ટરીમાં પુરતી સુરક્ષા નહોતી રાખવામાં આવી. ઉતરવા માટે એક જ સીડી હતી જેને પગલે સાતેય જણ જીવતા ભુંજાઈ ગયા છે.
અમદાવાદ નંદમ ડેનિમ કંપનીમાં આગનો મામલો,આગમાં 7 લોકોના થયા મોત
અમદાવાદના પીરાણાની નંદમ ડેનિમ ફેક્ટરીમાં આગ લાગવાના મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગના ચીફ ઓફિસર એમ.એફ દસ્તુરે ઘટનાસ્થળની મુલાકાત લીધી. હજુ પણ કંપનીના કાપડના રોલમાં આગ ચાલુ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.. અત્યાર સુધી 6 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો છે. અત્યાર સુધીમાં એક મહિલા સહિત 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
કુલ 7 કર્મચારીઓ જીવતાં ભૂંજાઇ ગયા
ચિરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની ફેક્ટરીનાં ગોડાઉનમાં શનિવારે એટલે ગઇકાલે સાંજે આસરે 5.45 કલાકે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, અહીં હાજર કર્મચારીઓને જીવ બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો. આ આગમાં કુલ 7 કર્મચારીઓ જીવતાં ભૂંજાઇ ગયા છે. આગને બુજાવવા માટે 16થી વધુ ફાયર ફાઇટર વાહનો સાથે 150 ફાયરમેનનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. હજારો લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ પણ આગ મોડી રાત સુધી કાબુમાં આવી ન હતી.
કાપડે આગ પકડી લીધી
અહીં કાપડ યુનિટ હોવાથી બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીજવસ્તુઓનો જથ્થો પડયો હતો જેથી અહીં આગ ઝડપીથી ફેલાઇ ગઇ હતી.
બીજી સીડી ન હોવાથી સર્જાઈ હોનારત
નંદન ડેનિમનું ગોડાઉન 300 ફૂટ લાંબુ અને 70 ફૂટ પહોળું છે. ગોડાઉનમાં પહેલા માળે આવવા જવા માટે ફકત એક જ સીડી હતી. આ પ્રકારની આગ કે અન્ય ઇમરજન્સી ઘટનામાં કર્મચારીઓએ ફકત આ જ સીડીનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે અચાનક આગ લાગતા કે અન્ય કોઇ ઇમરજન્સીમાં આ સીડી સુધી પહોંચતા પણ વાર લાગી શકે તેમ હતી.