અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્દતર થઈ ગઈ છે અને આજે રાતના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી અમદાવાદ મનપા દ્વારા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. તો આ તરફ રાજકોટ, સુરત અને વડોદરાની પણ સ્થિતિ કોરોનાને લઇને નાજૂક હોવાથી અહીં પણ રાત્રિ કર્ફ્યુને લઇને વિચારણ ચાલી રહી છે.
ગુજરાતના મહાનગરોમાં કોરોનાની સ્થિતિ બગડી
સુરત, વડોદરા, રાજકોટમાં પણ વહીવટી તંત્રએ કર્ફયુની કરી તૈયારીઓ
આજ સાંજ સુધીમાં લેવાઇ શકે છે મહત્વનો નિર્ણય
દિવાળીના તહેવારોની ઉજવણી બાદ ગુજરાતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છો. ડાયમંડ નગરી સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં છેલ્લા 4 દિવસમાં 784 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8 વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે ત્યારે આ ઘટનાને લઇને સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને વધુ કેસ નોંધાય તે પહેલા પગલા ભરવા માટે મથામણ શરૂ કરી છે.
સુરતમાં નાઇટ કર્ફ્યુ અંગે લેવાઇ શકે છે આજે નિર્ણય
ઉલ્લેખનીય છે કે, સુરત મહાપાલિકા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજાઇ છે જેમાં જિલ્લામાં વકરી રહેલા કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં શહેરમાં રાત્રી કર્ફ્યુ અંગે પણ આજે નિર્ણય લેવામાં આવી શકે છે. મનપા દ્વારા ક્યા વિસ્તારમાં ભીડ એકઠી થાય છે તેની યાદી બનાવાઈ છે અને કયા વિસ્તાર બંધ કરવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
મનપા કમિશનરે પ્રજાને કરી અપીલ
તો મનપા કમિશનર દ્વારા જે વ્યકિતને હાઈપર ટેન્શન, બ્લડપ્રેશરથી પીડિત હોય અને કોરોનાના લક્ષણ ધરાવતા વ્યકિતઓ ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો છઠ્ઠ પૂજાને લઇને નદી કે તળાવના કિનારે લોકોને એકઠાં ન થતાં ઘરે જ ઉત્સવની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે.
વડોદરામાં સ્થિતિ બગડે તે પહેલા તંત્ર આવ્યું હરકતમાં
તો આ તરફ સંસ્કારી નગરી વડોદરામાં પણ કોરોના વકરે તે પહેલા સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને મનપા કમિશનર પી.સ્વરૂપે કરી રિવ્યુ બેઠક બોલાવી છે અને
અભિપ્રાય બાદ રાત્રી કરફ્યુ અંગે વિચારણા કરવામાં આવશે. આ અંગે વડોદરા મનપા કમિશનર પી. સ્વરૂપનું નિવેદન આપ્યું હતું કે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને જિલ્લામાં હાલ કોઇ જ પ્રકારના કર્ફ્યૂનું કોઇ આયોજન નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલ સાથે બેઠક કરવામાં આવશે 823 ટીમ ઘરે ઘરે જઇને સર્વે કરશે તો જિલ્લામાં આજથી સંજીવની રથ શરૂ કરવામાં આવશે.
વડોદરાથી અમદાવાદ જતી ST બસો આજે સાંજથી બંધ
આ સાથે જ વડોદરાથી અમદાવાદ જતી તમામ પ્રકારની ST બસો આજે સાંજે 6થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વડોદરાથી અમદાવાદ જતી 250 બસ બંધ રહેશે.
આજે બપોરે 3 વાગ્યાથી સોમવાર સુધી રાજકોટથી અમદાવાદની ST બસ બંધ
આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં કોરોના સંક્રમણને લઇ સ્થિતિ ચિંતાજનક બની રહી છે ત્યાર મનપા હરકતમાં આવ્યું છે અને એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. નોંધનીય છે કે, રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં 800થી વધુ કેસ નોંધાયા ત્યારે મનપાએ કોરોના કામગીરી માટે 650 ટીમો બનાવી છે અને 154 આરોગ્ય રથની શરૂઆત કરી છે. રાજકોટથી અમદાવાદ જતી ST બસ આજે બપોર 3 વાગ્યાથી બંધ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, રાજકોટ-અમદાવાદ દરરોજ 100 જેટલી બસ ઉપડે છે. તો આ સાથે જ
રાજકોટમાં પણ કફર્યૂ લાગી શકે તેવા કલેકટરે સંકેત આપ્યા છે. આ નિર્ણય આજે સાંજ સુધીમાં લેવાશે.
સ્થિતિનો તાગ મેળવવા વહીવટીતંત્રની ખાસ બેઠક
રાજકોટ શહેરની પરિસ્થિતિને લઇ વહીવટી તંત્રની એક ખાસ બેઠક ચાલી રહી છે જેમાં જિલ્લાના નોડલ ઓફિસર, પોલીસ કમિશનર, મનપા અધિકારીઓ ખાસ હાજર રહ્યા છે. આ બેઠક જિલ્લા પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઇ છે.