ગુજરાતમાં હાલ તહેવારો બાદ કોરોનાએ માઝા મૂકી છે કોરોનાની બીજી લહેરને કારણે અમદાવાદમાં તાબડતોડ કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી છે. ત્યારે હવે લગ્નોના મુહૂર્ત અટકી પડતા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
લગ્નસરાની સિઝનમાં કર્ફ્યૂે વધારી ચિંતા
ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોની વધી ચિંતા
લગ્ન રદ્દ થતાં થશે મોટું નુકસાન
અમદાવાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોની ચિંતા વધી છે. સોલા ભાગવત પાસે ઇવેન્ટ મેનેજમેન્ટના લોકો એકઠા થયા છે અને પોતાની વાત રજૂ કરી રહ્યા છે. લગ્ન રદ્દ ખાય તો કરોડોનું નુકસાન થાય તેમ છે.
કર્ફ્યૂના કારણે 1600 જેટલા લગ્ન અટક્યાં
કરફ્યુને કારણે 1600 જેટલા લગ્ન અટકી પડ્યા છે. 22 થી 24 નવેમ્બર દરમિયાન 1600 જેટલા લગ્નનું આયોજન છે. લગ્ન રદ્દ થાય તો ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને ખૂબજ નુકસાન થશે.
સરકાર કોઈ નિર્ણય લે તેવી માંગ
મહત્વનું છે કે અમદાવાદમાં ફરીથી અચાનક 2 દિવસના સંપૂર્ણ અને ત્યાર બાદ રાત્રિ કરફ્યુને કારણે લોકોની વધી મુશ્કેલી વધી ગઈ છે. આ કારણે લગ્નનું આયોજન અટવાઈ ગયા છે જેના કારણે હજારો લોકો મૂંઝવણમાં મૂકાયા છે. અમદાવાદના જમાલપુરના 2 પરિવારમાં લગ્ન હતા જેના કારણે હવે પરિવારજનો અસમંજસમાં મૂકાયા હતા. તેમણે કહ્યું હતું કે તૈયારી માટે ખર્ચો કર્યો અને હવે કરફ્યુ લાગતા અટવાયા છીએ. સરકાર કોઈ નિર્ણય લે તેવી પરિવારે માંગ કરી હતી.
સરકારના નિર્ણય ઉતાવળભર્યો : ઈમરાન ખેડાવાલા
ગુજરાતના ધારસાભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બાબતે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ નિર્ણય ઉતાવળભર્યો લેવાયો છે. પહેલાં પણ સરકારે આ રીતે નિર્ણય લીધો હતો અને હવે ફરી એક વખત ઉતાવળભર્યા નિર્ણયથી લોકો હાલાકીમાં મૂકાયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર અને તંત્રમાં સંકલનનો અભાવ છે અને કોરોનાના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે.
અમદાવાદમાં આજ રાતથી કર્ફ્યુ
રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, મોડીરાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં 'સંપૂર્ણ કરફ્યુ' લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ એક નિર્ણય લેવાયો છે. જેમાં આજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા નિણર્ય કરાયો છે. બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે. આ અંગે રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે. જોકે શનિ-રવિ 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.
AMCનો એકશન પ્લાન
કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે.
CM વિજય રૂપાણી સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે.