અમદાવાદમાં રોજબરોજ ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે અને વધારો પણ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના નરોડા કોરલ બંગલોમાં તસ્કરો ઘર સાફ કરી ફરાર થઇ ગયા હતા. તો આંબાવાડી વિસ્તારમાં મહિલાને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરવામાં આવી હતી. જેમાં મહિલાને સારવાર દરમિયાન 88 ટાંકા આવ્યા હતા.
તિજોરીનું લોક તોડી એક લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી
અમદાવાદના નરોડા વિસ્તારમાં તસ્કરો કોરલ બંગલોમાં ઘૂસી તસ્કરો સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા છે. નરોડા શક્તિદાન ગઢવીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. શક્તિદાન ગઢવીના સંબંધીના કોરલ બંગલોમાં તસ્કરોએ ઘૂસી તિજોરીનું લોક તોડ્યું હતું અને તેમાં રહેલા એક લાખ રૂપિયાના દાગીના ચોરીને તેમજ રોકડ રૂપિયા લઇ નાસી ગયા હતા. ઘરનો દરવાજો તૂટેલો જોઇ પાડોશમાં રહેતા પાડોશીએ શક્તિદાન ગઢવીને ફોન કર્યો હતો અને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. શક્તિદાન તાત્કાલિક તેમના સંબંધીના બંગલોમાં આવી ગયા હતા, જ્યાં તેમણે જોયું હતું કે મુખ્ય દરવાજો તૂટેલો છે અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે. બંગલાના બેડરૂમમાંની તિજોરી ચેક કરતાં તેમાં મૂકેલા દાગીના ગાયબ હતા. શક્તિદાને તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. ચોરીની જાણ થતાં નરોડા પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ઢોરવાડામાંથી ગુમ થયેલી 96 ગાયની તપાસમાં ભીનું સંકેલાયું?
અમદાવાદના બહેરામપુરા ખાતે આવેલા મ્યુનિ. ઢોરવાડામાંથી એક વર્ષ પહેલાં અચાનક 96 ગાય ગુમ થઈ ગઈ હતી. તંત્રની વિજિલન્સ તપાસમાં પણ ગાય ગુમ થયાની બાબતનો સ્વીકાર કરાયો હતો, પરંતુ આમાં કસૂરવાર એક પણ અધિકારી સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હોઈ આમાં ક્યાંક ભીનું તો સંકેલાઈ નથી ગયું ને તેવી ચર્ચા ઊઠી છે.
તંત્ર સંચાલિત ઢોરવાડાનું નામ કરુણા મંદિર છે, પરંતુ આ કરુણા મંદિરમાં રખડતી ગાયને એક વખત રસ્તા પરથી પકડીને પૂરી દેવાયા બાદ તંત્ર કરુણા દાખવતું હોય તેમ લાગતું નથી. મ્યુનિ. ઢોરવાડામાં રખડતી ગાયની સાર-સંભાળ રાખવામાં કચાશ રહી જવાના કારણે તેમનાં મૃત્યુનું પ્રમાણ પણ ચોંકાવનારું છે. ગાયની માવજત માટે પૂરતા પ્રમાણમાં વેટરનરી ડોક્ટર નથી. ગાયને બાંધી રાખવાના શેડને અપગ્રેડ કરાવવાની દિશામાં થતા તંત્રના પ્રયાસ ખાસ પ્રશંસનીય નથી, જોકે ગાયને ખવડાવવાના લીલા અને સૂકા ઘાસ માટે લાખો રૂપિયાની ખરીદીનાં ટેન્ડર કહો કે ઢોરવાડાની સાફસફાઈનાં ટેન્ડર ગણો પણ તેમાં ચાલતી લાલિયાવાડી અટકતી નથી.
જોકે એક વર્ષ પહેલાં ઢોરવાડામાંથી અચાનક ગાયબ થયેલી ૯૬ ગાયનો વિવાદ ભારે ગાજ્યો હતો. આ બાબતની જાણ સૌથી પહેલાં ભાજપના પૂર્વ નેતા અમિત શાહને થતાં તેમણે વિજિલન્સ તપાસની સત્તાવાળાઓ સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી. અમિત શાહની રજૂઆતના પગલે તત્કાલીન કમિશનર વિજય નેહરાએ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા હતા.
વિજિલન્સ તપાસમાં પણ ૯૬ ગાય ગુમ થઈ હોવાની બાબત પુરવાર થઈ હતી. ત્યારબાદ ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષ કોંગ્રેસે સતત બે દિવસ પ્રદર્શન કર્યું હતું. તે સમયે ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર વચ્ચે ગાય ગુમ થવાના મામલે જબ્બર ઘર્ષણ થયું હતું.
હજુ બે મહિના પહેલાં મળેલી મ્યુનિ. સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના નેતાએ ગાય ગુમ થવાના મામલે તંત્ર પર પસ્તાળ પાડી હતી, જોકે હજુ પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ મામલે પશુપાલક સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે. ઢોર પકડનારી પાર્ટી સામે ઢોરને પકડવા કે ન પકડવાના પશુપાલકો પાસેથી હપ્તા લેવાના અવારનવાર આક્ષેપ ઊઠતા જ હોય છે એટલે ઢોરવાડામાંથી ગાય ગુમ થવાના કિસ્સામાં ગાય વેચી મારવાની કે લાગતાવળગતાઓ પાસેથી નાણાં વસૂલીને છોડી મૂકવાની શક્યતા ચર્ચાઈ રહી છે, જોકે ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના ઉચ્ચ અધિકારીનું મૌન ગાયની ઉચાપતના કૌભાંડને વધુ રહસ્યમય બનાવે છે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં એક મહિલા સહિત ચાર લોકોએ મહિલા પર તલવાર તેમજ ચપ્પા વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. મહિલાને સારવાર દરમિયાન 88 ટાંકા આવ્યા છે. આંબાવાડીની ભુદરપુરા આવાસ યોજનામાં રહેતાં સાવિત્રીબહેન ભીલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. સાવિત્રીબહેનને તેમના બ્લોક સામે રહેતા લક્ષ્મણ ચૌહાણ સાથે ગઈ કાલે સામાન્ય બોલાચાલી થઇ હતી.
આ બાબતની લક્ષ્મણ ચૌહાણે પોલીસ ફરિયાદ પણ કરી હતી, જે બાબતે બંને વચ્ચે સમાધાન કરાવવાની વાતચીત ચાલી રહી હતી, પરંતુ લક્ષ્મણ ચૌહાણે સમાધાન કરવાની ના પાડી હતી અને લક્ષ્મણ ચૌહાણ બ્લોક નીચે જઈ ગાળો બોલવા લાગ્યા હતા, જેથી સાવિત્રીબહેને બ્લોક નીચે જઈ ગાળો બોલવાની ના પાડતાં લક્ષ્મણ ચૌહાણ અને તેમના બે ભત્રીજા રોહન ચૌહાણ તથા કલ્પેશ ચૌહાણ પણ ઉશ્કેરાઈ ગયા હતા. આ સમયે રોહને સાવિત્રીબહેનના સંબંધીને હાથના ભાગે પાઈપનો ફટકો મારતાં તેમને ઇજા પહોંચી હતી.
આ દરમિયાન લક્ષ્મણ ચૌહાણની દીકરી રિયાએ વાળ પકડી સાવિત્રીબહેનને નીચે પાડી દીધાં હતાં. સાવિત્રીબહેન ઊભાં થવા જાય તે પહેલાં જ લક્ષ્મણ ચૌહાણે ક્યાંકથી તલવાર લઈ આવી સાવિત્રીબહેનને તલવારનો ઘા ઝીંકી દીધો હતો. આથી સાવિત્રીબહેન લોહીલુહાણ થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને સાવિત્રીબહેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જયાં તેમને 88 ટકાં આવ્યા છે.
સારવાર દરમિયાન સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે લક્ષ્મણ ચૌહાણ, રોહન ચૌહાણ, કલ્પેશ ચૌહાણ, રિયા ચૌહાણ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.