ભાજપ જેવા કાર્યકરોથી બનેલા પક્ષમાં પણ કોંગ્રેસ કલ્ચરનો જાણે કે પ્રવેશ થઈ ચૂક્યો હોય તેમ નેતાઓની બોલબાલા વધી છે.
પક્ષ માટે ચપ્પલ ઘસી નાખનારા ખરા કાર્યકરો હાંસિયામાં મુકાઈને તેમની જગ્યાએ નેતાઓની ચાપલુસી કરનારાનું મહત્ત્વ વધ્યું છે. તેમાં પણ ચૂંટણી ટાણે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ટિકિટવાંછુઓથી ભાજપની આંતરિક શિસ્તના લીરેલીરા ઊડી રહ્યા છે. આમાં પણ અનેક દાવેદાર તો જે તે ધારાસભ્યનો ઝભ્ભો પકડીને ફરનારા છે. આવા મહત્ત્વાકાંક્ષીઓનું પક્ષ માટે કોઈ વિશેષ યોગદાન ન હોઈ સ્વાભાવિકપણે પક્ષનિષ્ઠ કાર્યકરોનો મોટો વર્ગ નારાજ થયો છે. પક્ષ હાઈકમાન્ડ તરફથી ટિકિટ મેળવવા માટેના જે માપદંડ જાહેર કરાયા છે તેનાથી સાવ વિપરીત માત્ર અને માત્ર ચમચાગીરીથી ટિકિટ આપવા સામે ભાજપના પાયાના કાર્યકરોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે.
અન્ય રાજકીય પક્ષની તુલનામાં લોકોમાં ભાજપની ઓળખ શિસ્તપ્રિય પક્ષ તરીકેની છે. જોકે નરોડા વોર્ડના સીટિંગ કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિ અને યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય લવ ભરવાડ વચ્ચેની માથાકૂટ અને ગિરીશ પ્રજાપતિને માર મારવાના મામલે શિસ્તના ખુલ્લેઆમ લીરેલીરા ઊડી ચૂક્યા છે, પરંતુ અંદરખાને પણ ટિકિટ માટેના ઝઘડાનો પાર નથી.
પશ્ચિમ અમદાવાદ તો જાણે કે ભાજપનો ગઢ છે, પરંતુ આ વખતે પૂર્વ અમદાવાદમાં ટિકિટ મેળવવા પક્ષની ભીતરમાં રમખાણ મચ્યું છે. છેલ્લી ચૂંટણીની પાટીદાર અનામત આંદોલનની અસર હવે નહીંવત હોઈ પૂર્વ અમદાવાદમાં દાવેદારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. એટલે પૂર્વ અમદાવાદમાં ભાજપમાં ભડકો જ થયો છે. પક્ષ હાઈકમાન્ડને ભડકાની નોંધ લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પૂર્વ અમદાવાદના નિકોલ, ઓઢવ, ઠક્કરનગર, વસ્ત્રાલ વગેરે વોર્ડમાં ચાર બેઠકની પેનલ પૈકી ભાજપે છેલ્લી ચૂંટણીમાં ચારેય બેઠક જીતી હતી. ઉપરાંત નરોડા, કુબેરનગર, ઇન્દ્રપુરી, ખોખરા, ઈસનપુર, વટવા વગેરે વોર્ડની પેનલની ચારેય બેઠક પર કમળ ખીલ્યું હતું. અન્ય બાપુનગર, ઇન્ડિયા કોલોની અને વિરાટનગર વોર્ડમાં પણ પાટીદાર અનામત આંદોલનની આંધી વચ્ચે પણ કમળે હાજરી નોંધાવી હતી, જ્યારે આ વખતે તો ભાજપ પૂર્વ અમદાવાદમાં પણ સપાટો બોલાવશે તેમ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે પ્રત્યેક વોર્ડમાં દાવેદારોમાં મ્યુઝિકલ ચેરની રમત જોવા મળે છે તેની સાથે અંદરખાને જબ્બર ઉકળાટ પણ છે.
ખાસ તો સ્થાનિક ધારાસભ્યનો ઝભ્ભો પકડીને ટિકિટ મેળવવા દોડાદોડ કરનારા અને પક્ષ માટે તન, મન, ધનથી સમર્પિત કાર્યકરો વચ્ચે ઘમસાણ મચ્યું છે. એક ધારાસભ્યની બાપુશાહી અને બીજા ધારાસભ્યની બિલ્ડરશાહીથી કર્મઠ કાર્યકરો ખૂબ રોષે ભરાયા છે. આ બે ધારાસભ્યો સાથે જોડાયેલાઓને ટિકિટ ન આપવાની ઉગ્ર રજૂઆત નિરીક્ષકો સમક્ષ પણ કરાઈ છે. એક પ્રકારે નિરીક્ષકો સામે પાયાનિષ્ઠ કાર્યકરોએ હલ્લાબોલ કરતા સેન્સ લેતી વખતે નિરીક્ષકો પણ ડઘાઈ ગયા હતા.
બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉર્ફે પાટીલ ભાઉએ ટિકિટ સારુ રામમંદિર માટે ફાળો આપેલો હોવો જોઈએ, સોશિયલ મીડિયા પર સક્રિય હોવા જોઈએ અને તેમના કેટલા ફોલોઅર્સ છે તે પણ ઉમેદવારીપત્રમાં જણાવવાનું રહેશે- જેવા માપદંડ જાહેર કર્યા છે, પરંતુ ૫૫ વર્ષથી વધુ વયના દાવેદારને ટિકિટ નહીં અપાય તેવી પાટીલ ભાઉની જાહેરાત તો જાણે કે તેમણે અણુબોમ્બ ફોડ્યો હોય તેવું પક્ષના વડીલ દાવેદારોને લાગી રહ્યું છે.
જોકે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ટિકિટ માટે ૫૫ વર્ષની વયમર્યાદાને વળગી રહેવાય તો ૫૦ ટકાથી વધુ સીટિંગ કોર્પોરેટરને ઘેર બેસવાનો વારો આવે તેમ છે, કેમ કે મોટા ભાગના પૂર્વ પદાધિકારી ૫૫ વર્ષથી વધુ વયના છે. પક્ષના કુલ ૧૪૨ કોર્પોરેટર પૈકી મહિલા સહિતના અનેક કોર્પોરેટર 'વડીલ'ની ઉંમરના છે એટલે પક્ષ હાઈકમાન્ડ દ્વારા આવા વડીલ કોર્પોરેટરની અલગથી યાદી તૈયાર કરાઈ રહી છે, જ્યારે એક-બેના અપવાદ સિવાય મોટા ભાગના વડીલ કોર્પોરેટરોએ ફરીથી ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી હોઈ હાઈકમાન્ડ તમામને ઘેર નહીં બેસાડે, પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખનો ૫૫ વર્ષની વયમર્યાદાનો અણુબોમ્બ ફક્ત અને ફક્ત નબળાને જ નડશે.
બીજા અર્થમાં જે વડીલ સીટિંગ કોર્પોરેટર બધી રીતે પહોંચતા અને સબળ હશે તેમને પુનઃ રિપિટ કરાશે. એટલે પક્ષ હાઈકમાન્ડ માત્ર યુવા ચહેરાને તક આપશે તેમાં હાલ તો 'ઘરડાં ગાડાં વાળે' તે જૂની કહેવતને નજર સમક્ષ રાખતા ખાસ દમ લાગતો નથી. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ યુવા અને વડીલ એમ બંનેને ટિકિટ આપતી વખતે ઓછું-વધતું મહત્ત્વ આપે તેમ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.