આપણામાં દલા તરવાડીની વાડી અને દલા તરવાડીનાં રીંગણાંની વાર્તા બહુ જાણીતી છે, જેમાં રીંગણાંની ઉચાપત કરવા માટેની રમત રમાઈ છે. જોકે શહેરમાં કોરોનાની સેકન્ડ વેવની પહેલાં પણ મ્યુનિ. તંત્ર તેના આંકડા છુપાવવામાં એક્કો પુરવાર થયું છે. લાંબા સમય સુધી તંત્રના આંકડા ૧૫૦ કેસની આસપાસ ફરતા હતા, જોકે સેકન્ડ વેવમાં કોરોનાના સત્તાવાર આંકડાને છૂટકે-નાછૂટકે બમણા કરવાની તંત્રને ફરજ પડી છે, પરંતુ તેમાં પણ અવનવા ખેલ ખેલાઈ રહ્યા છે.
મ્યુનિ. ઉચ્ચ અધિકારીઓના ટેબલ પર સાંજ સુધી શહેરભરમાંથી આવતા કોરોનાના કેસના આંકડાને જાહેર કરવામાં દલા તરવાડીની નીતિ અપનાવાઈ રહી છે એટલે કુલ કેસનો સાચો આંકડો ગમે તે હોય, પરંતુ તેમાં ક્યારેક ૨૯૧ કેસ તો ક્યારેક ૩૧૧ કેસ પ્રસિદ્ધ કરીને લોકોને વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરાતા નથી તેવા ગંભીર આક્ષેપ ઊઠ્યા છે.
મ્યુનિ. તંત્ર દ્વારા ગત સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કોરોનાના કેસનો સત્તાવાર આંકડો ૧૫૦ની આસપાસ ફરતો હતો. આમાં આશ્ચર્યની વાત એ હતી કે મૃત્યુઆંક પણ ત્રણથી પાંચની વચ્ચે રહેતો હતો, જેના કારણે તંત્ર સામે ૧૫૦@ગોઠવણ.કોમના ગંભીર આક્ષેપ થયા હતા. નવરાત્રિ અને દિવાળી પહેલાં શહેરમાં કોરોના કાબૂમાં આવ્યો છે તેવું આભાસી ચિત્ર રજૂ કરવાની તંત્રની કવાયત હોવાનું શાસક ભાજપના કેટલાક બોલકા કોર્પોરેટરમાં પણ ખાનગીમાં ચર્ચાતું હતું.
જોકે આંકડા સાથેની રમત કહો કે ઢાંકપિછોડો, તે લોકોનાં જીવન સાથેનાં ચેડાં હોવાનું પણ આવા બોલકા કોર્પોરેટર કહેતાં અચકાતા ન હતા. કોરોનાના ચમત્કારથી શહેરમાંથી મેલેરિયા, ડેન્ગ્યૂ અને ટાઇફોઇડ પણ અદૃશ્ય થયા હતા. ચોમાસાની સિઝન એટલે મચ્છરજન્ય રોગચાળાની સિઝન છતાં મચ્છરજન્ય રોગચાળાનું સાચું ચિત્ર લોકોને મળતું નહોતું. જોકે આજે પણ તંત્ર કોઈ આંકડા જાહેર કરતું નથી.
કોરોનાની દિવાળી બાદની સેકન્ડ વેવમાં અમદાવાદીઓની હાલત બદથી બદતર બનતી જાય છે. કોરોનાના કેસ સતત દસ દિવસ સુધી ૩૦૦થી ઉપર જાહેર થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જોકે ગત તા. ૩૦ નવેમ્બરે દસ દિવસ ચાલેલી ૩૦૦થી વધુ દર્દીની ચેઇન તૂટી ગયા બાદ ગઈ કાલે ફરીથી શહેરમાં ૩૦૦થી વધુ કેસ તંત્રના ચોપડે ચડ્યા હતા એટલે કે ગઈ કાલે નવા ૩૧૧ કેસ નોંધાયા હતા.
દરમિયાન, કોરોનાના સત્તાવાર કેસના મામલે દલા તરવાડીના રીંગણાં જેવી રીતરસમ તંત્ર અપનાવતું હોવાનો ગંભીર આક્ષેપ મ્યુનિ. કોંગ્રેસ દ્વારા કરાયો છે. મ્યુનિ. કોંગ્રેસનાં નેતા કમળા ચાવડા કહે છે, ''તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમની એસી ઓફિસમાં બેસીને દલા તરવાડીનાં રીંગણાંની જેમ દરરોજના આંકડા જાહેર કરતા હોઈ આમાં કોઈ વિશ્વાસ જળવાતો નથી. શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ પચાસ ટકા આંકડા છુપાવાઈ રહ્યા હોવાથી સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. પ્રજાના પ્રતિનિધિઓને સાચી સ્થિતિથી વાકેફ કરાતા નથી. જો મેયર કોરોનાના કેસ જાણતાં હોય તો કોર્પોરેટરોને પણ જાણ હોવી જોઈએ, જેથી તેઓ તેમના વિસ્તારના લોકોને વિશ્વાસમાં લઈ શકે.''
આ દરમિયાન ગત તા. ૩૦ નવેમ્બરે ચાંદખેડાના શ્યામ બંગલોઝના કેસનો વિવાદ ઊઠ્યો હતો. કોંગ્રેસનાં સ્થાનિક કોર્પોરેટર રાજશ્રી કેસરીએ એવો આક્ષેપ કર્યો હતો કે આ સોસાયટીમાં ૩૪ કેસ છે, પરંતુ તંત્રે ૧૨ કેસ દર્શાવીને આંકડા છુપાવ્યા છે. આ અંગે મ્યુનિ. વર્તુળો કહે છે કે શહેરમાં ૮૫થી વધુ ડોમ, અર્બન હેલ્થ સેન્ટર સહિતનાં સ્થળોએ દરરોજ ૧૦થી ૧૨ હજાર એન્ટિજન ટેસ્ટ થાય છે. અમુક પસંદગીનાં કેન્દ્રોમાં આરટીપીસીઆર થાય છે. ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ થઈ રહ્યા છે.
એચઆરસીટી ટેસ્ટ પણ થાય છે એટલે એક અંદાજ પ્રમાણે શહેરમાં કોરોનાને લગતા ૧૪ હજાર વિવિધ ટેસ્ટ થતા હોઈ તેમાંથી જો માત્ર પાંચ ટકા પોઝિટિવ કેસ મળી આવે તો પણ રોજના ૭૦૦ કેસ તંત્રના ચોપડે ચડે તેમ છે. જોકે શહેરમાં આજ દિન સુધીમાં કોરોનાના સત્તાવાર ૪૬,૮૫૩ કેસ નોંધાઈ ચૂક્યા હોઈ ઠંડીના દિવસોમાં કોરોનાનો કહેર હજુ વધવાનો છે.