સામાન્ય રીતે કોરોના સંક્રમણને લગતાં ટેસ્ટમાં નાગરિકો મ્યુનિસિપલ તંત્રને સ્વયંભૂ સહકાર આપતા નથી. લોકોમાં ટેસ્ટને લગતાં ગભરાટનાં મુખ્ય બે કારણ છે, પહેલું કારણ તો જો તેમની સોસાયટી અને ફલેટમાં પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત થાય તો અડોશી-પડોશી પણ બહિષ્કાર કરે તેવો ફફડાટ છે અને જો સત્તાવાળાઓએ હોમ કવોરન્ટાઇનના બદલે હોસ્પિટલમાં સારવાર અપાવવાનો આગ્રહ રાખ્યો તો હોસ્પિટલમાં જવું એટલે મોતને ભેટવું તેવો ડર પણ ટેસ્ટ ટાળવાનું બીજું કારણ છે. જોકે જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટ માટેના ડોમને લોકોએ તેમની ઓળખ છુપાતી હોઇ વધાવી લીધા છે.
મ્યુનિ.સત્તાવાળાઓએ વધુને વધુ લોકો એન્ટીજન ટેસ્ટ માટે આગળ આવે તે આશયથી એગ્રેસિવ સર્વે અને એગ્રેસિવ ટેસ્ટિંગની પોતાની જૂની રણનીતિ તો કાયમ રાખી જ છે. તેમ છતાં ઓળખ છતી થવાના ડરથી અનેક ફલેટ અને સોસાયટીના લોકો ટેસ્ટ માટે ખાસ ઉત્સાહ દાખવતા નથી. મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમ ઘરે ઘરે જઇને ટેસ્ટ કરાવવા માટે આગળ આવવા લોકોને બોલાવે છે તો પણ ઘણા લોકો ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કરે છે અથવા તો ઓફિસ કે દુકાને જતી વખતે સોસાયટીના પ્રાંગણમાં ટેસ્ટ ટીમનું ટેબલ નજરે ચઢે તો પણ ટેસ્ટ કરાવવા માટે રોકાતા નથી.
બીજી તરફ તંત્ર દ્વારા જાહેર સ્થળોએ ૮પ જેટલાં એન્ટીજન ટેસ્ટિંગના ડોમ ઊભા કરાયા છે. કેટલાક ડોમમાં શાકભાજીના ફેરિયા ઘૂસ્યા છે તો કેટલાકમાં વાંદરાઓનું રાજ છે. તો કેટલાકમાં સ્ટાફ સમયસર હાજર ન રહેવાથી લોકો ધુંધવાયા છે તેવા સમાચાર સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ ડોમમાં જે તે નાગરિકનાં નામ-સરનામાની વિગત તો સ્ટાફ રાબેતા મુજબ નોંધે છે, પરંતુ ટેસ્ટમાં ન કરે નારાયણ અને પોઝિટિવ રિપોર્ટ આવે તો પણ નાગરિકની સોસાયટી, ફલેટ કે ચાલીના ઓળખીતા-પારખીતાની સામે ઓળખ છતી થવાની ભીતિ રહેતી નથી એટલે કોરોના પોઝિટિવ રિપોર્ટ જો આવે તો પણ તેનાથી બદનામી થવાના ડરથી જે તે નાગરિકની છાતી ધડકતી નથી, પરંતુ જો નેગેટિવ રિપોર્ટ આવે તો તે નાગરિકનાં સમગ્ર ઘરના લોકો પણ કોરોનાના માહોલમાં હાશકારો અનુભવે છે.
આ ઉપરાંત સ્ટાફ દ્વારા પણ પોઝિટિવ ગ્રસ્ત નાગરિકોની યાદી જે તે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને મોકલાવીને તેના આધારે પોઝિટિવ ગ્રસ્ત નાગરિકના ફલેટ કે સોસાયટીના મકાન પર હેલ્થ વિભાગની ટીમના ધાડે ધાડાં ઊતરી પડે તેવું પણ હંમેશાં બનતું નથી. તંત્ર તો ડોમના પોઝિટિવ દર્દીના આંકડા પણ દરરોજ પ્રસિદ્ધ થતી યાદીમાં આપતું નથી એટલે કે ' તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ' જેવો ખેલ ખેલાઇ રહ્યો છે.
કોરોનાનાં લક્ષણ ધરાવતા નાગરિકનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ જો કદાચ નેગેટિવ આવે તો પણ તેમણે ચિંતા કરવા જેવું નથી. તેવા સંજોગોમાં તંત્ર શંકાસ્પદ દર્દીનો છાતીનો સચોટ એકસ-રે દર્શાવતો એચઆરસીટી ટેસ્ટ કરાવે છે અને એચઆરસીટી ટેસ્ટમાં પણ જો કાંઇ સંદેહાસ્પદ લાગે તો તંત્ર ટ્રિપલ ફિલ્ટર નીતિ મુજબ આવા દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ એટલે કે ગોલ્ડન ટેસ્ટ કરાવે છે. આનો અર્થ એ થાય છે કે કોરોનાના સિમ્ટોમેટિક અને એસિમ્ટોમેટિક એમ બંને પ્રકારના દર્દીનાં શરીરમાં રહેલા કોરોના વાઇરસને શોધી કઢાય છે.
એક અંદાજ પ્રમાણે શહેરભરમાં આવેલા તમામે તમામ ૮પ ડોમમાં રોજે રોજ ૧૦,૦૦૦ લોકો હરખભેર એન્ટીજન ટેસ્ટ કરાવી રહ્યા છે. એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ ઓન ધ સ્પોટ એટલે કે માત્ર ૧પ મિનિટમાં આવતો હોઇ અનેક લોકો કુતૂહલ ખાતર પણ ટેસ્ટ કરાવીને ઘરે કે ઓફિસ રવાના થતા નજરે પડે છે, એટલે સત્તાવાળાઓ પણ દિવાળીના તહેવારોમાં ડોમ ટેસ્ટિંગને યથાવત્ ચાલુ રાખવાના મૂડમાં છે. અત્યારે સત્તાવાળાઓએ જાહેર સ્થળો પર ૮પ ડોમ મૂકયા હોઇ તેમાં તહેવારોની મોસમને જોતાં સંખ્યામાં વધારો થઇ શકે તેમ છે.