દિવાળીના તહેવારની ઉજવણીમાં લોકો ભાન ભૂલ્યા અને મ્યુનિ. સત્તાવાળાઓએ પણ પબ્લિક ફ્રેન્ડલી બનીને નજર સામે થતા કોરોના ગાઇડલાઇનના ભંગ સામે આંખ આડા કાન કર્યા. આમ લોકો અને તંત્રની ગંભીર ભૂલથી દિવાળી બાદ આખા અમદાવાદમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હતો.
શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ થતાં દર્દીઓને છેક વડોદરા, આણંદ, કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. કોરોનાની સેકન્ડ વેવના પગલે લોકોના ફેલાયેલા ગભરાટને દૂર કરવા સત્તાધીશોએ નવી નવી ખાનગી હોસ્પિટલને કરારબદ્ધ કરીને તેને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવાનો આક્રમક અભિગમ અપનાવ્યો હતો.
અમદાવાદીઓને ઘરઆંગણે બેડ અપાવવાની રણનીતિમાં સફળ પુરવાર થયેલા તંત્ર દ્વારા હવે કોરોનાના કેસમાં ડાઉનફોલ આવવાથી ખાનગી હોસ્પિટલના બેડ ઘટાડવાની દિશામાં હિલચાલ આરંભાઈ છે.
દિવાળી બાદ કોરોનાનું ડેન્ઝર મીટર શહેરમાં ફરી વળ્યું હતું. નવરાત્રિ દરમિયાન કોરોના અંકુશમાં આવ્યાનું ચિત્ર ભયાનક હદે બદલાઈને દિવસો સુધી કોરોનાના ૩૦૦ પાર કેસ નોંધાયા હતા, જેના કારણે તંત્રને એસવીપી હોસ્પિટલમાં નવા ૩૦૦ બેડ વધારવાની ફરજ પડી હતી તો ખાનગી હોસ્પિટલમાં ૨,૨૪૦ બેડની સંખ્યા વધારીને ૪,૦૦૦થી વધુ બેડની કરાઈ હતી. જોકે હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. સતત બારમા દિવસે કોરોનાના કેસ ઘટતા હોઈ ગઈ કાલે નવા ૨૩૨ કેસ નોંધાયા હતા.
જોકે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવાનું જળવાઈ રહેતા નવો વિવાદ ઊઠ્યો હતો. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનના સસ્પેન્ડેડ ડો. અરવિંદ પટેલના આર્થિક કૌભાંડ બાદ ખાનગી હોસ્પિટલની સારવાર, ચૂકવાતાં બિલ પર ખાસ નજર રાખવાની શાસકપક્ષના કેટલાક કોર્પોરેટરોએ પણ ઉગ્ર માગણી કરી હતી.
ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલના બેડના ચાર્જ ઘટાડીને નવા ચાર્જ જાહેર કરવાની પણ માગણી ઊઠી હતી. ટેસ્ટ, પીપીઈ કિટ, દવાના ભાવ ઘટતાં તંત્રે પણ એક અઠવાડિયામાં ગઈ કાલે બીજી વખત બેડના ચાર્જમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીઅેશન (આહના) દ્વારા સારવારનાં વધુ પડતાં બિલની ફરિયાદનાં નિરાકરણ માટે બિલિંગ કમ્પ્લેન રિડ્રેસલ સેલનું પાંચ દિવસ પહેલાં ગઠન કરીને દર્દી અને સગાં સંબંધીઓમાં ફેલાયેલા અસંતોષને ઠારવાની કોશિશ કરી છે.
જોકે ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યામાં થતો વધારો ન અટકતાં થયેલા વિવાદથી હવે સત્તાધીશો આ દિશામાં રહી રહીને ગંભીર બન્યા છે. આગામી બે ચાર દિવસમાં તંત્ર દ્વારા કેટલીક કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને ડી-નોટિફાય કરાય તેવી ચર્ચા ઊઠી છે. એટલે આ હોસ્પિટલને કરારમુક્ત કરીને મ્યુનિ. તિજોરી પરના આર્થિક બોજને વધુ હળવો કરાશે.
દરમિયાન ગઈ કાલ સવારના સાડા વાગ્યાની સ્થિતિએ આહના સાથે સંકળાયેલી ૧૦૭ હોસ્પિટલના કુલ ૩,૭૭૫ બેડ પૈકી ૨,૨૫૮ બેડ ખાલી હતા એટલે કે ૬૦ ટકા બેડ ખાલી હોઈ હવે કોરોનાના દર્દીને બેડ મેળવવા માટે રઝળપાટ કરવો પડતો નથી. અગાઉ વેન્ટિલેટર મેળવવા દર્દી રીતસરના તરસતા હતા, પરંતુ હવે કુલ ૨૬૫ વેન્ટિલેટર પૈકી ૧૩૩ દર્દી વેન્ટિલેટર પર હોઈ ૧૩૨ વેન્ટિલેટર ખાલી પડ્યાં છે. આ સંજોગોમાં ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને ડી-નોટિફાય કરવાનાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં છે.