શહેરમાં કોરોનાનો કહેર સતત વધતો જાય છે, જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને કોરોનાની તાલીમ અપાઇ રહી છે, જોકે કોરોનાના કેસના સાચા આંકડાને હજુ પણ મ્યુનિ. હેલ્થ વિભાગ સિફતપૂર્વક છુપાવી રહ્યો છે. હેલ્થ વિભાગના સત્તાવાળાઓની લુચ્ચાઇ ફક્ત કોરોના પૂરતી જ સીમિત નથી, પરંતુ કોરોના-કોરોનાની બૂમો વચ્ચે તંત્રે ભેદી રીતે શહેરમાંથી મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ટાઇફોઇડને જ સાવ અદૃશ્ય કરી દીધા છે. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો મ્યુનિ. ચોપડે નજરે પડતો નથી, જ્યારે સત્ય હકીકત એ છે કે ઇરાદાપૂર્વક આવા અન્ય રોગચાળાના આંકડાને છુપાવાઇ રહ્યા છે.
મ્યુનિ. હેલ્થ વિભાગ કોરોનાના કેસ અને મૃત્યુઆંક છુપાવવામાં 'એક્કો' હોવાનું પુુરવાર થઇ ચૂક્યો છે. અગાઉ બે આંકડામાં મૃતકના નામ સાથેની યાદી જાહેર કરનાર તંત્ર હવે ડાયાબિટીસ, બીપી, કિડની જેવા અન્ય રોગ ધરાવતા દર્દીનું કોરોનાના સંક્રમણથી મોત નીપજે તો પણ આવા કો-મોર્બિડ કેસના મૃત્યુને ગણતરીમાં લેતું ન હોઇ હમણાંથી શહેરમાં કોરોનાનો મૃત્યુઆંક સાવ ઘટીને બે-પાંચ અને સાત જેવો મામૂલી નોંધાઇ રહ્યો છે. અગાઉ પણ ઝિકા વાઇરસ જેવા અતિસંવેદનશીલ મુદ્દે ચતુરાઇપૂર્વક ઢાંકપિછોડો કરનાર હેલ્થ વિભાગે સ્વાઇન ફલૂના રોગચાળામાં પણ અમદાવાદીઓને અંધારામાં જ રાખ્યા હતા. મચ્છરજન્ય રોગચાળાના મામલે પણ આવી જ ઢાંકપિછોડાની નીતિ અપનાવાઇ છે.
કાબેલ અધિકારીને હેલ્થ વિભાગ સોંપવાના બદલે કોરોનાની મહામારીમાં પણ ઇન્ચાર્જ વડાના હવાલે આ વિભાગને સોંપનાર તંત્રની બલિહારીથી કોરોનાના પગલે છેલ્લા ચાર મહિનાથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળા અને ઝાડા-ઊલટી, કોલેરા-કમળા જેવા પાણીજન્ય રોગચાળાની કોઇ સત્તાવાર માહિતી જ પ્રસિદ્ધ કરાતી નથી. અગાઉ દર સોમવારે રોગચાળાના આંકડા નિયમિત જાહેર કરાતા હતા, પરંતુ કોરોનાની આડમાં હેલ્થ વિભાગે આ માહિતી પણ આપવાનું બંધ કરી દીધું છે.
જોકે હેલ્થ વિભાગના મચ્છરજન્ય રોગચાળાના ચોપડે નોંધાયેલા આંકડા અંગે મેળવેલી માહિતી ભારે ચોંકાવનારી છે. ર૦૧૯ના એપ્રિલ-મે-જૂન અને જુલાઇ આ ચાર મહિનામાં સાદા અને ઝેરી મેલેરિયાના કુલ ૧૯૬૭ કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે ગત તા.૧૮ જુલાઇ, ર૦ર૦ની સ્થિતિએ માંડ પ૬ જ કેસ છે, તેમાં ઝેરી મેલેરિયાનો તો એક પણ કેસ નથી.
જ્યારે ઘાતક ડેન્ગ્યુના આંકડા પણ વિચિત્ર સ્થિતિ બતાવે છે એટલે કે ર૦૧૯ના આ ચાર મહિનામાં ડેન્ગ્યુના કુલ ૧૭૦ કેસ હતા તો આ વર્ષે ગત તા.૧૮ જુલાઇ, ર૦ર૦ની સ્થિતિએ ફકત પ૭ કેસ જ નોંધાયા છે. ટાઇફોઇડના કેસના મામલે પણ તંત્રના સત્તાવાર આંકડા ગત વર્ષ કરતાં ફકત દસ ટકા જેટલા જ છે. ગત વર્ષના એપ્રિલ-મે-જૂન અને જુલાઇમાં તંત્રના ચોપડે ટાઇફોઇડના કુલ ર૧૬૪ કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ગત તા.૧૮ જુલાઇ, ર૦ર૦ની સ્થિતિએ ફક્ત ર૧૦ કેસ જ છે!
અગાઉ કોરોનાના કહેર વચ્ચે ખાનગી ડોક્ટર અને હોસ્પિટલ ઝડપથી ન મળતાં હોઇ મ્યુનિ. સત્તાવાળાઓએ તાવ, શરદી, ખાંસી જેવા સામાન્ય રોગની સારવાર માટે પહેલાં કોટ વિસ્તારમાં ૪૦ ધન્વંતરિ રથ ફેરવ્યો હતો. કોરોનાગ્રસ્ત એવા કોટ વિસ્તારમાં ધન્વંતરિ રથનો પ્રયોગ સફળ થતાં ચોમાસાના કારણે સમગ્ર શહેરમાં ૧રપ ધન્વંતરિ રથ ફરી રહ્યા છે. આ રથનો લગભગ પ.પ૦ લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં તાવના રપ,૦૦૦થી વધુ અને શરદી-ઉધરસના એક લાખથી વધુ દર્દી હતા.
આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર પર સાંજની ઓપીડીમાં પણ તાવ, શરદી, ખાંસીની સારવાર લેવા દર્દીઓ ઊમટી રહ્યા છે. આ તમામ રોગચાળાના આંકડાનંુ વ્યવસ્થિત રજિસ્ટર નિભાવીને દરરોજ હેલ્થ વિભાગને મોકલવામાં આવે છે, પરંતુ હેલ્થ વિભાગ અગમ્ય કારણસર આ આંકડામાં દર્દીના નામ સહિતની યાદી પર પલાંઠીવાળીને બેસી ગયો છે. આના કારણે નાગરિકોને કોરોનાનું સાચું ચિત્ર મળતું નથી, પરંતુ મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ જેવા સામાન્ય રોગની પણ સાચી હકીકત જાણવા મળતી નથી. અત્યારના વરસાદી ઝાપટાં જેવા મચ્છરજન્ય રોગચાળાને માફક આવે તેવા હવામાનમાં હેલ્થ વિભાગની આવી ભેદી રીતરસમ લોકોના આરોગ્ય માટે ઘાતકરૂપ જ છે.