અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સરકારી યાદીમાં ઓછું થયું છે, પરંતુ અત્યારની સ્થિતિમાં કોઇ સોસાયટી, ફલેટ કે ચાલી કોરોનાના કેસથી ભાગ્યે જ બાકાત રહ્યાં છે. મે મહિનામાં કોરોના ચરમસીમા પર હતો તે વખતે પણ આજની જેમ કોઇ પરિચિત કે મિત્ર કોરોના સંક્રમિત બન્યા હોય તેવું ઝટ દઇને સંભળાતું ન હતું, પરંતુ મ્યુનિ. તંત્ર દ્વારા કોરોનાનો કહેર ઓછો દર્શાવવા માટે ઇરાદાપૂર્વક દરરોજના 150 કેસ જાહેર કરાઇ રહ્યા છે તો મૃત્યુઆંક સાથે પણ રમત રમાતી હોઇ લોકોના જીવન સાથે ગંભીર ચેડાં કરાઇ રહ્યાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે.
કોરોનાનો મૃત્યુઆંક ઓછો દર્શાવવા લોકોનાં જીવન સાથે ગંભીર ચેડાં
સ્મશાન-કબ્રસ્તાનના મૃત્યુના આંકડા અને તંત્રના કોરોનાથી થયેલા મૃત્યુના આંકડામાં વિરોધાભાસ
દરિયાપુરના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે તંત્ર સામે મૃત્યુઆંક છુપાવવાનો કર્યો આક્ષેપ
અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ મ્યુનિસિપલ તંત્ર સામે કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓ ચાલુ વર્ષના જે તે મહિનામાં સ્મશાન અને કબ્રસ્તાનમાં નોંધાયેલા મૃત્યુના આંકડા અને તંત્રના કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા જાહેર કરીએ મૃત્યુઆંકનો વિરોધાભાસ સ્પષ્ટ કરે છે.
ચાલુ વર્ષના જાન્યુઆરીમાં સ્મશાનમાં 3,335 અને કબ્રસ્તાનમાં 608 મળીને કુલ 3,943 નાગરિકનાં મોત થયાં હતાં. જ્યારે ફેબ્રુઆરીમાં સ્મશાનમાં 2,933 અને કબ્રસ્તાનમાં 448 મળીને કુલ 3,381 મોત, માર્ચમાં સ્મશાનમાં 2,685 અને કબ્રસ્તાનમાં 658 મળીને કુલ 3,343 મોત, એપ્રિલમાં સ્મશાનમાં 3,052 અને કબ્રસ્તાનમાં 1,207 મળીને કુલ 4,259 અને મે મહિનામાં સ્મશાનમાં 6,147 અને કબ્રસ્તાનમાં 981 મળીને કુલ 7,128 મોત થયાં હતાં.
બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાથી થયેલા મોતના આંકડાની વિગત તપાસતાં માર્ચમાં 3, એપ્રિલમાં 144, મેમાં 686, જુલાઇમાં 151 અને ઓગસ્ટમાં 117 મળીને કુલ 1673 દર્દી મૃત્યુ પામ્યા છે.
રોગચાળો કાબૂમાં તો મોતનો આંકડો કેમ મોટો ?
શહેરનાં સ્મશાન અને કબ્રસ્તાનમાં ગત તા.1 જાન્યુઆરી, 2020થી ગત તા.31 મે, 2020 સુધીમાં કુલ 22054 દર્દીનાં મોત થયાં હોઇ મોટાભાગનાં મૃત્યુ કોરોનાથી થયાં હોવાની આશંકા વ્યકત કરાઇ રહી છે. આ અંગે સુરેન્દ્ર બક્ષી કહે છે કે એક તરફ મ્યુનિ. હેલ્થ વિભાગ રોગચાળાથી 25 ટકા મોત થયાં નથી તેવી જાહેરાત કરે છે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો આ વર્ષે કાબૂમાં છે અને તેના કેસ પણ ઓછા નોંધાઇ રહ્યા છે તેવો હેલ્થ વિભાગનો દાવો છે તો શહેરના સ્મશાન અને કબ્રસ્તાનમાં નાગરિકોનાં મોતનો આટલો મોટો આંકડો કઇ રીતે નોંધાયો? જો રોગચાળો નથી તો આ મૃત્યુ કોરોનાનાં દર્દીનાં છે અને જો રોગચાળો છે તો હેલ્થ વિભાગ કોરોના રોગચાળાની સાચી પરિસ્થિતિ જાહેર કરતું નથી. તો લોકોએ શું સમજવું?
મે મહિનાના મૃત્યુઆંકના વિરોધાભાસનું ઉદાહરણ
તેઓ મે મહિનાના મૃત્યુઆંકના વિરોધાભાસનું ઉદાહરણ આપતાં વધુમાં જણાવે છે કે જો મે મહિનામાં કોરોનાથી 686 નાગરિક મૃત્યુ પામ્યા તો તે મહિનાનો સ્મશાન અને કબ્રસ્તાનમાં કુલ 7,128નો મૃત્યુઆંક કેમ? જો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાથી આ વખતે દર્દીનો મૃત્યુઆંક ઓછો છે તેમ હેલ્થ વિભાગ ગાઇ વગાડીને કહેતો હોય તો મૃત્યુઆંકમાં આટલો ઊંચો વિરોધાભાસ દર્શાવે છે કે તંત્ર કોરોનાનો મૃત્યુઆંક જાણી જોઇને ઓછો બતાવાઈ રહ્યો છે.