અમદાવાદ: બિનગુજરાતીઓ પર થયેલા હુમલા બાદ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ પક્ષમાં નારાજગીનો દોર ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ મોટો નિર્ણય લઈ શકે છે.
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર સામે બિહાર તેમજ ગુજરાતના ધારાસભ્યોએ નારાજગી દર્શાવી છે. તેથી બિહારમાં યોજાયેલા કાર્યક્રમાં અલ્પેશ ઠાકોરને આમંત્રણ પણ આપવામાં નહોતું આવ્યું.
ઉલ્લેખનીય છે કે રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય આ પહેલા પણ વિવાદીત ટિપ્પણી આપવા મુદ્દે ચર્ચામાં આવી ચુક્યા છે. આ પહેલા બિન ગુજરાતી પર થયેલ હુમલા સમયે ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.
ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગ્રેડે અલ્પેશ પર ઇનામ જાહેર કર્યું છે. અલ્પેશ ઠાકોરના માથા બદલે રૂપિયા 1 કરોડના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં પોસ્ટર લાગ્યા છે.
જો કે આ મામલે તાજેતરમાં કોંગ્રેસી નેતાએ ફરીવાર એક વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે રાતે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી શકે છે.
તેમના ફરીવાર આ પ્રકારના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વારંવાર બનતી ઘટનાને કારણે અલ્પેશ ઠાકોરથી હાઇકમાન્ડ નારાજ થયું છે. જેને લઇ આગામી દિવસમાં કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.