અમદાવાદ: લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મળેલી કોંગ્રેસની બેઠકમાં ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો હોવાનું સામે આવ્યું છે. સંગઠનમાં થયેલી નિમણૂક અંગે પ્રભારી રાજીવ સાતવ સામે કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી છે. ધારાસભ્યોની જાણ બહાર સંગઠનમાં નિમણૂક કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
તો 15થી વધારે ધારાસભ્યોએ અમિત ચાવડાના નિર્ણય સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. આ સાથે જ સંગઠનનું પનુઃગઠન કરવાની પણ માંગ ઉઠી રહી છે. તો નવા નિમાયેલા પદાધિકારીઓ ધારાસભ્યોને અવગણતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
મહત્વનું છે કે એક તરફ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાં જ આંતરિક વિખવાદ સપાટીએ આવી રહ્યો છે. જેમાં આજે મળેલી ધારાસભ્યોની બેઠકમાં ગેરહાજર રહીને 15 ધારાસભ્યોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે ખાસ અભિયાન હાથ ધરેલ છે. આ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના પ્રભારી ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેમના આગમનને પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે.
જો કે આજરોજ મળેલ કોંગ્રેસની બેઠકમાં સંગઠનમાં થયેલી નિમણૂકને લઇને ધારાસભ્યોએ રોષ ઠાલવતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારે હવે જોવું જ રહ્યું કે આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે.
અમિત ચાવડાનો આદેશ
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્યોને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે. જે પૈકીની એક સૂચનામાં લોકસભાના ઉમેદવાર અંગે ધારાસભ્યો સીધા પ્રદેશ પ્રભારીને નામ આપશે. આ સાથે જ દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં ઉમેદવારનું નામ આપવાનુંમ રહેશે. જેમાં ઉમેદવારને ટિકિટ શા માટે આપવી તેનું કારણ પણ રજૂ કરવાનું રહેશે.