શહેરમાં ગત તા.૧૭ માર્ચે ન્યૂયોર્કથી આવેલી સેટેલાઇટમાં રહેતી એક યુવતી કોરોનાગ્રસ્ત થઇ હતી. ત્યાર બાદ તરત જ ફિનલેન્ડથી આવેલી આંબાવાડીમાં રહેતી અન્ય એક યુવતી કોરોના પોઝિટિવ દર્દી જાહેર થઇ હતી. શહેરમાં પ્રારંભિક તબક્કામાં તો કોરોનાના કેસમાં અત્યંત ધીમી વૃદ્ધિ હતી, પરંતુ ગત તા.૧૮ એપ્રિલથી કોરોનાએ ગભરાટ ફેલાવવા લીધો હતો. એપ્રિલમાં નવા ૩૦ર૬ કેસ અને ૧૪૬ મોત બાદ મે મહિનામાં તો કોરોનાના નવા ૯૧૩૧ કેસ અને ૬૯૧ મોત નોંધાતાં તંત્ર હેબતાઇ ગયું હતું. ગયા જૂન મહિનામાં કોરોનાના કેસ સહેજ ઘટીને નવા ૭,૯૯પ કેસ થયા હતા.
હવે જુલાઇમાં તો કોરોનાના કેસમાં વધુ ઘટાડો નોંધાઇ રહ્યો છે. એટલે કે શહેરમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. જે નાગરિકો માટે રાહત આપનારી બાબત છે. આની સાથે શહેરમાં હજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું ન હોવાનો મ્યુનિ. તંત્રે દાવો કર્યો છે. એટલે આ બાબતથી પણ અમદાવાદીઓ કંઇક અંશે હાશકારો અનુભવી શકશે. જોકે શહેરમાંથી કોરોના હજુ સુધી ગયો નથી. ચોમાસાની ભેજવાળી ઋતુમાં કોરોના ફરી ગતિ પકડી શકે છે.
અમદાવાદમાં અગાઉ કોટ વિસ્તાર સહિતનો મધ્ય ઝોન કોરોનાનું એપી સેન્ટર હતો. જોકે મધ્ય ઝોનમાં ગીચતા વધુ હોઇ સંક્રમણ વધ્યું હતું અને હવે આ ઝોનમાં હર્ડ ઇમ્યુનિટીનો તબક્કો શરૂ થતાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેવું નિષ્ણાતોનું માનવું છે. બીજી તરફ હવે પશ્ચિમ અમદાવાદ કોરોના સંક્રમણની દૃષ્ટિએ ભયજનક બન્યો છે.
બીજી તરફ ગુજરાતમાં આજે પ૦,૦૦૦ કોરોનાના કેસ થવાના હોઇ અમદાવાદમાં કુલ ર૪,ર૦પ કેસ નોંધાઇ ચૂકયા છે. જ્યારે દેશમાં સતત પાંચ દિવસથી કોરોનાના ૩૦,૦૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા હોઇ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શકયતા પ્રબળ બની છે. ખાસ કરીને મંુબઇના ધારાવી અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયાની નિષ્ણાતોએ સંભાવના દર્શાવી છે.
જોકે દેશભરમાં કોરોનાની સ્થિતિ અંગેની ગાઇડલાઇન જાહેર કરતી નવી દિલ્હીની આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાયાને લગતી કોઇ સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનને હજુ સુધી અપાઈ નથી. મ્યુનિ. હેલ્થ વિભાગના ટોચના અધિકારી કહે છે આજની સ્થિતિએ શહેરમાં કયાંય કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાયું નથી. આઇસીએમઆર તરફથી તંત્રને આવો કોઇ સંકેત પણ અપાયો નથી. જોકે શહેરીજનો પર કોરોનાનો ખતરો તો છે જ એટલે તેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.
બીજી તરફ કોરોના ટેસ્ટિંગના મામલે આરટીપીસીઆર ટેસ્ટિંગ ૭૦ ટકાની વિશ્વનીયતા ધરાવે છે. અલબત્ત આ પદ્ધતિ ખર્ચાળ અને રિપોર્ટ માટે વધુ સમય માગી લે તેવી હોઇ તંત્ર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટિંગને ઓછા કરી દેવાયા છે. દરરોજના માંડ ૪૦૦-પ૦૦ આરટીપીસીઆર ટેસ્ટ લેવાઇ રહ્યા છે. જ્યારે એન્ટીજન ટેસ્ટિંગની વિશ્વસનીયતા આરટીપીસીઆર કરતાં પણ ઓછી હોવા છતાં શહેરભરમાં હવે એન્ટીજન ટેસ્ટિંગ પર સત્તાવાળાઓ ખાસ ભાર મૂકી રહ્યા છે.
એન્ટીજન ટેસ્ટિંગ સસ્તું અને ૧પ-ર૦ મિનિટમાં પરિણામ આપનારું હોઇ મ્યુનિ. કોર્પોરેશનને વધુ માફક આવી રહ્યા છે. જોકે એન્ટીજન ટેસ્ટિંગમાં માસ સર્વેલન્સ કરાતું નથી. કોઇ સોસાયટી કે ફલેટના તમામ ઘરના સઘળા સભ્યોના ટેસ્ટ થતા નથી. આના બદલે જે તે રહેણાક વિસ્તારમાં અદ્ધરતાલ ટેસ્ટિંગ કરાતું હોઇ કોરોનાનું સાચું ચિત્ર જાણવા મળતું નથી. ઘણી વખત ધન્વંતરિ રથની ટીમ સ્થાનિક લોકોના ટેસ્ટ લેવાને બદલે માત્ર દવાનું વિતરણ કરતી જોવા મળે છે.
બીજી તરફ અમદાવાદમાં સુપર સ્પ્રેડર્સની તપાસનો બીજો રાઉન્ડ તો શરૂ કરાયો છે અને તેમાં પાનના ગલ્લાઓ, સલૂન વગેરેનો સમાવેશ કરીને હેલ્થકાર્ડ આપવા એન્ટીજન ટેસ્ટિંગ કરાઇ રહ્યા છે. જોકે તંત્રની સરકારી યાદીમાં સુપર સ્પ્રેડર્સના કોરોના પોઝિટિવ દર્દીનો સમાવેશ થતો ન હોઇ આ બાબત વિવાદાસ્પદ બની છે. પહેલા જ રાઉન્ડમાં જે પ્રકારે તંત્રે આંકડામાં ગોલમાલ કરીને ૭૦૦થી વધુ સુપર સ્પ્રેડર્સનો આંકડો એક સાથે જાહેર કર્યો હતો.
તેવી ગોલમાલ બીજા રાઉન્ડમાં કરાશે તેમ ચર્ચાઇ રહ્યું છે. જોકે આરટીપીસીઆર ટેસ્ટિંગને ઘટાડવા એન્ટીજન ટેસ્ટિંગમાં સ્થાનિક કોર્પોરેટર પણ ડોર ટુ ડોર ટેસ્ટિંગમાં ગંભીર ન હોવા તેમજ સુપર સ્પ્રેડર્સને તંત્ર દ્વારા સાવ હળવાશથી લેવા જેવી બાબતોથી અત્યારે ભલે શહેરમાં કોરોનાના કેસ ઘટયા હોવાનું લાગે પણ આથી તંત્રની આવી બેદરકારીથી કોરોનાની સ્પ્રિંગ ફરીથી જોશભેર ઊછળે તો નવાઇ નહીં તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.