આજ કાલ અનેક હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં ઘોર બેદરકારી દાખવવામાં આવે છે, જેને લઇને અવાર નવાર અહેવાલો પણ સામે આવતાં હોય છે. ત્યારે આજે અમદાવાદનાં મણિનગરમાં આવેલી એલ.જી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક વૃદ્ધાને આપવાનું ઈન્જેક્શન એક યુવતીને આપી દેવામાં આવતાં તેનું મોત થઈ ગયું.
હોસ્પિટલનાં બિછાને રહેલી આ યુવતી મેલેરિયાની સારવાર માટે અહીં દાખલ થઈ હતી. કેમ કે, તેણીએ જ્યાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું તે એલ.જી હોસ્પિટલ શહેરમાં સારી નામના ધરાવે છે. પરંતુ હોસ્પિટલમાં દાખલ થયાં બાદ જ્યારે સારવાર ચાલું થઈ તો તેનો ભરમ ભાંગી ગયો. કેમ કે, તે તો માત્ર સામાન્ય મેલેરિયાની સારવાર લેવાં માટે અહીં દાખલ થઈ હતી. પરંતુ હોસ્પિટલનાં તંત્ર દ્વારા સારવારમાં ઘોર બેદરકારીનાં કારણે આ યુવતીને અને મોતને માત્ર સહેજ જ અંતર રહી ગયું.. જો તમે ઘટનાને વિગતવાર જોશો તો તમે પણ હોસ્પિટલનાં સ્ટાફ પર ભરોસો મૂકતાં પહેલાં સો વાર વિચાર કરશો.
એલ.જી હોસ્પિટલનાં બિછાને રહેલી આ યુવતીનું નામ ચંદ્રિકા મકવાણા છે. શહેરનાં અમરાઈવાડી વિસ્તારની રહેવાસી આ 28 વર્ષીય યુવતીને મેલેરિયા થયો હોવાંથી તેને હોસ્પિટલનાં જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે હોસ્પિટલમાં દાખલ થયાંને 4 દિવસ થયાં હતાં. તબિયત સુધારા પર હતી. પરંતુ આ દરમ્યાન ચંદ્રીકાબેનને એક નર્સ દ્વારા ઈન્જેક્શન આપવામાં આવ્યું. બસ આ ઈન્જેક્શન બાદ ચંદ્રીકાબેનની તબિયત લથડી ગઈ. તબિયત એટલે સુધી લથડી કે તેને આઈસીયુમાં સારવાર આપવાની ફરજ પડી.
એક સામાન્ય મેલેરિયાની દર્દીને મેલેરિયા મટાડવાનાં બદલે હોસ્પિટલની બેદરકારીનાં કારણે તદ્દન નવા જ દર્દનો સામનો કરવો પડ્યો. જેની પાસે જીવનની આશા હતી તેવાં ડોક્ટર્સ અને નર્સ દર્દીઓની સારવારમાં કેવી બેદરકારી દાખવે છે. ચંદ્રીકાબેનને ઈન્જેક્શન બાદ મોતનાં મુખમાં ઘકેલવાની ગંભીર બેદરકારીની કહાની કંઈક આવી છે. એલ.જી હોસ્પિટલનાં જનરલ વોર્ડમાં સામાન્ય મેલેરિયાની સારવાર લઈ રહેલાં ચંદ્રીકાબેનને આમ તો કોઈ ઈન્જેક્શનની જરૂર ન હતી અને તેમને ચાર દિવસની સારવાર દરમિયાન એક પણ ઈંજેક્શન આપવામાં પણ આવ્યું ન હતું.
પરંતુ નર્સ અને તેમની સહાયકે એક વૃદ્ધા દર્દીને આપવાનું ઈંજેક્શન આ 28 વર્ષીય ચંદ્રીકાબેનની દૂંટીનાં ભાગે આપી દીધું. 60 વર્ષીય એક વૃદ્ધા દર્દી અને આ 28 વર્ષીય યુવતી બન્નેનાં નામ ચંદ્રિકા હોવાંથી નર્સ અને તેની મદદનીશે કશી વિગત જાણવાની તસદી લીધાં વગર જ વોર્ડનાં પહેલાં બેડ પર રહેલાં 28 વર્ષીય ચંદ્રીકાબેનને જ ઈંજેક્શન આપી દીધું અને દર્દીનું જીવન જોખમમાં મુકાઈ ગયું.
જે યુવતીને સારવાર લઈને થોડાં દિવસોમાં ઘરે જવાનું હતું તે યુવતીને હોસ્પિટલનાં સારવાર તંત્રની બેદરકારીનાં કારણે હોસ્પિટલનાં નવમાં માળે આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવા પડ્યાં. હોસ્પિટલની ઘોર બેદકારી સામે આવ્યાં બાદ યુવતીનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પરિવારજનોએ પોતાની દીકરીની સારવાર કરી રહેલી જવાબદાર નર્સ અને સહાયક સામે ફરિયાદ કરી છે. પરંતુ આ ઘટના અંગે એલ.જી હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડ પ્રશાંત મુકદ્દમનું નિવેદન તમે સાંભળશો તો તમને લાગશે કે કેટલાંક ડોક્ટર્સ સારવારનાં આ વ્યસાયને અન્ય વ્યવસાય જેવો જ ગણી રહ્યાં છે.
હવે નર્સ અને તેની સહાયિકા સામે ફરિયાદ દાખલ કરાઈ છે અને હોસ્પિટલનાં રુલ્સ મુજબ તેમની સામે પગલાં પણ લેવાશે અને કદાચ પીડિતા દર્દીને હોસ્પિટલ સત્તાવાળાઓ ફ્રી સારવાર આપીને જોખમમાંથી મુકત પણ કરશે. પરંતુ શું આટલું દર્દીઓનાં જીવ જોખમમાં મૂકતી હોસ્પિટલની બેદરકાર માનસિકતાનો ઈલાજ કરવા માટે પૂરતું છે? શું દર્દીઓને શિખાઉ ડોક્ટર્સને ભરોસે છોડવાનું બંધ થશે?