અમદાવાદમાં મંજૂરી વગર રાજકીય પક્ષોના બેનર લગાવીને ફરતા રીક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ કલેક્ટરે RTOને પત્ર લખી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
રાજકીય પક્ષનું બેનર લગાવવા લેવી પડશે મંજૂરી
રિક્ષા ચાલકોએ લેવી પડશે મંજૂરી
મંજૂરી નહીં લેનારા વિરુદ્ધ થશે કાર્યવાહી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો પ્રચાર માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. હજારો મતદારો સુધી પહોંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા રિક્ષાઓ પર જાહેરાતો લગાવવામાં આવી છે. તો મોટા મોટા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે અમદાવાદ કલેક્ટર દ્વારા મંજૂરી લીધા વિગર રિક્ષા પર રાજકીય પક્ષોના બેનરો લગાવીને ફરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
રાજકીય પક્ષોના બેનર લગાવનારા રિક્ષાચાલકો વિરુદ્ધ થશે કાર્યવાહી
અમદાવાદમાં એક લાખ જેટલી રિક્ષાઓ ફરે છે જેમાં ઘણી રિક્ષાઓ પર રાજકીય પક્ષોની જાહેરાત જોવા મળી રહી છે, ત્યારે હવે મંજૂરી વગર રાજકીય પક્ષોના બેનરો લગાવી ફરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ માટે અમદાવાદ કલેક્ટરે RTOને પત્ર લખીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદ કલેક્ટરે RTOને પત્ર લખી કાર્યવાહી કરવા આપ્યો આદેશ
ઘણા રિક્ષાચાલકોએ રાજકીય પક્ષનું બેનર લગાવવાની મંજૂરી લીધી ન હોવાનું કલેક્ટરને ધ્યાને આવતા તેમણે RTOને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ મંજૂરી લીધા વિના બેનરો લગાનારા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવી સૂચના આપી છે. એટલું જ નહીં રિક્ષાચાલક એસોસિએશને પણ રિક્ષાચાલકોને મંજૂરી લેવા તાકીદ કરી છે.
બે તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.