પ્રથમવાર અમદાવાદની એવી ઘટના સામે આવી છે જેમાં ખેતી જમીનને ગેરકાયદેસર બિન ખેતી કરીને કલેક્ટરે ખુદ તેની સામે મહેસૂલ પંચમાં અપીલ કરી સ્ટે લાવ્યા છે. જેને લઇને આ વિવાદ અમદાવાદ કલેક્ટર ઓફિસથી લઇ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી ચર્ચિત બન્યો છે.
વિવાદીત જમીનને અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે એ NA આપી હતી
હવે કલેક્ટર NAના હુકમની અમલવારી રોકવા માટે સ્ટે લાવ્યા
વિવાદ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યલય સુધી ચર્ચિત બન્યો છે
અમદાવાદના બોડકદેવમાં આવેલ હનુમાન દર્શન સોસાયટીની 5 હજાર ચારસો ત્રણ ચો.મી. તાત્કાલિક NA આપી દેવાયું હતું. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વર્ષ 2015માં બોનાફાઇડ પરચેસરનું નોટિફિકેશન કરી સૂચના આપી હતી કે ખેતમંડળીઓને બોનાફાઇડ પરચેસરનો લાભ નહીં મળે. જે મામલે સરકારે કેટલીક વખતે હનુમાન દર્શન સોસાયટીની જમીનને NA આપવાની સ્પષ્ટ ના કહી હતી. તેમ છતાં પણ અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે હનુમાન દર્શન સોસાયટીને NA આપી હતી. આ મામલે કેટલાક નેતાઓ અને બિલ્ટરો દ્વારા મુખ્યમંત્રીને પણ ફરિયાદો કરી હતી. જ્યારબાદ તેઓ મુશ્કેલીમાં મુકાતા તેમણે ભૂલ સુધારવા માટે મેહસૂલ પંચમાં અપીલ કરી હતી અને તેમના દ્વારા આપવામાં આવેલ NAના હુકમની અમલવારી રોકવા માટે સ્ટે લાવ્યા છે. જેથી આ વિવાદ અમદાવાદની કલેક્ટર કચેરીથી લઇને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યલય સુધી ચર્ચિત બન્યો છે.
આ જમીનનો વિવાદનું કારણ શું?
અમદાવાદના બોડકદેવ વિસ્તારના સર્વે નંબર 70/2ની પાંચ હજાર ચારસો ત્રણ ચો. મી. જમીનનો વિવાદ સામે આવ્યો છે. જેમાં શહેરના કલેક્ટર વિક્રાંત પાડેએ 26 જૂલાઇ 2019ના રોજ આ વિવાદીત જમીનને બિન ખેતી કરી હતી. આ વિવાદ સર્જાવાનું મૂળ કારણ રાજ્ય સરકારે 30 જૂન 2015ના રોજ બોનાફાઇ પરચેસર અંગે નોટિફિકેશન કરીને સૂચના આપી હતી કે જમીનના ટાઇટલ ક્લીયર કરવા માટે કોઇ વેચાણ કરારોમાં ખેડૂતથી બિન ખેડૂત વચ્ચે જમીન ટ્રાન્સફર થઇ હોય તો કટ ઓફ ડેટ પહેલાં મહેસૂલી રેકર્ડમાં જમીન ખેડત ખાતેદાર પાસે આવી હોય તેવામાં 10 ટકા પ્રિમિયમ લઇ ટાઇટલ ક્લીયર કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે કટ ઓફ ડેટ બાદ જમીન બિન ખેડૂતના નામે હોય તો 300 ટકા પ્રિમિયમ ભરવું અને જમીન મૂળ સ્થિતિમાં લાવવાની જોગવાઇ પણ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકારે આ કિસ્સામાં ખેત મંડળીઓને બોનાફાઇડ પરચેસરનો લાભ આપવો નહીં તેવું નક્કી કર્યું હતું.
ખેતમંડળીઓ પાસે હોય તેવી જમીનોને NA કરવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. જેને લઇને બોડકદેવ વિસ્તારની હનુમાન દર્શન સોસાયટીવાળી જમીનવાળી જમીનને NA કરવાની ફાઇલ બે વાર સરકારમાં વિચારણા માટે મુકાઇ હતી ત્યાર બાદ પણ સરકારે મંજૂર કરી ન હતી. પરંતુ ગત મે-જૂનમાં આ જમીનની એનએ કરવાની ફાઇલ ચાલી હતી જેમાં ખેતમંડળીથી ખેતીની જમીન ટ્રાન્સફર થઇ હોવા છતાં તે અવગણીને તેમાં નિયમ વિરુદ્ધ કલેક્ટરે NA આપી દીધી હતી.