અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ‘ઉપરથી’ આદેશ આવે તે સમયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાય છે તેવા સંજોગોમાં સાબરમતી નદીને સ્વચ્છ કરવી, જે તે વોર્ડમાં સ્વચ્છતા રાઉન્ડ લેવો, રાત્રિ ખાણી-પીણી બજારને સુઘડ રાખવાં કે રસ્તાની રાત્રિ સફાઇ ઝુંબેશ વગેરે જોરશોરથી હાથ ધરાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં રસ્તા પર સફાઇ નજરે પડતી નથી. શહેરના રસ્તા ચોખ્ખાચણાક નજરે પડતા નથી. તંત્રના જંગી પગાર લેતા સફાઇ કર્મચારીઓનાં ધાંધિયાંના કારણે શહેર ‘સ્વચ્છ’ દેખાતું નથી.
વેપારી વિસ્તાર ધરાવતા રોડ પર જાહેરમાં કચરો બાળવામાં સફાઈ કર્મચારી પણ સામેલ થાય છે
રાત્રિ સફાઈ ઝુંબેશ છોડો સાંજે પણ નિયમિત સફાઈ થતી નથી
સ્વચ્છતા સર્વેક્ષણ-2020ની તૈયારી
આમ તો કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં અમદાવાદને સ્વચ્છ શહેર બતાવવા મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે. છેક વર્ષ 2016થી સ્વચ્છ અમદાવાદનું અભિયાન કેન્દ્ર સરકારની સૂચનાથી ચાલી રહ્યું છે. હવે સ્વચ્છતા સર્વેક્ષણ-2020ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.
જોકે મધ્યપ્રદેશના ઉજ્જૈન જેવા દેશના સૌથી સ્વચ્છ શહેરની તુલનામાં તો અમદાવાદ કદાચ ક્યારેય નહીં આવી શકે, પરંતુ રસ્તાની નિયમિત સફાઇ જેવા સફાઇના સામાન્ય માપદંડ પણ જળવાતા નથી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનના કારણે રસ્તાની સફાઇ સોંપાઇ છે, પરંતુ તેમાં કોઇ અસરકારતા જણાઇ નથી.
સિનિયોરિટીના આધારે દર મહિને રૂ.20થી 45 હજાર સુધીનો પગાર ચૂકવાય છે
તંત્રના આશરે 14 હજાર સફાઇ કર્મચારી હોઇ આ સફાઇ કર્મચારીને તેમની સિનિયોરિટીના આધારે દર મહિને રૂ.20થી 45 હજાર સુધીનો પગાર ચૂકવાય છે, પરંતુ સફાઇ કર્મચારીઓના યુનિયનનું ખાસ્સું એવું વર્ચસ્વ હોઇ અનેક સફાઇ કર્મચારીઓ હાજરી પૂરીને ઘર ભેગા થાય છે. અગાઉ એસીબીની રેડમાં રૂ.2 હજાર લઇને હાજરી પૂરવાનું કૌભાંડ ઝડપાયું હતું. સફાઇ કર્મચારીઓએ સવારના 6:20 થી 11:30 વાગ્યા સુધી અને સાંજના 3થી 6 વાગ્યા સુધી એમ કુલ આઠ કલાક ફરજ બજાવવાની હોય છે. ખાસ તો મધ્ય ઝોનમાં ‘બીટ’ના પણ પારાવાર પ્રશ્ન છે.
બીટમાં 25થી 30 ટકાની ઘટનો મામલો ચર્ચાયો
એક ‘બીટ’માં સામાન્ય રીતે 200થી 700 સ્ક્વેર મીટરનો રોડ સફાઇ માટે સોંપાય છે, તેમાં પણ ગંદકીના આધારે બીટનો એરિયા નક્કી થાય છે, પરંતુ સોંપાયેલ ‘બીટ’માં ફરજ બજાવવા પૂરતા સફાઇ કર્મચારી પણ નથી. અમુક કિસ્સામાં ‘અવેજી’ કર્મચારી ફરજ બજાવે છે. તાજેતરમાં મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં બીટમાં 25થી 30 ટકાની ઘટનો મામલો પણ ચર્ચાયો હતો. આ અંગે હેલ્થ કમિટીના ચેરમેન પરેશ પટેલને પૂછતાં તેઓ કહે છે કે, ‘શહેરના અનેક વિસ્તારમાં બીટની સંખ્યા ઓછી છે. જે તે વિસ્તારની વસ્તી મુજબ જોઇએ તો કોઇક વિસ્તારમાં 15થી 20 બીટ, કોઇ વિસ્તારમાં 60થી 70 બીટ ઓછી છે.
વેપારી વિસ્તારમાં તંત્ર રાત્રિ સફાઇ કરતું નથી
તેમણે વસ્ત્રાલનું ઉદાહરણ આપતાં વધુમાં જણાવ્યું કે વસ્ત્રાલમાં વિકાસ થયો છે, પરંતુ 50થી 60 બીટ ઓછી છે એટલે સંબંધિત વિભાગને આ અંગે સૂચના આપી છે.’ દરમિયાન મધ્ય ઝોન જેવા ગીચ વિસ્તારમાં કે દૂરના પૂર્વના વિસ્તારમાં કેટલાક સફાઇ કર્મચારીઓ જાહેરમાં રોડ પર કચરો બાળતા હોવાની ફરિયાદો ઊઠી છે, જોકે આ અંગે સ્થાનિક કોર્પોરેટરો કહે છે કે રિલીફરોડ, ગાંધીરોડ અને ઘીકાંટા જેવા વેપારી વિસ્તારમાં તંત્ર રાત્રિ સફાઇ કરતું નથી તેમજ દુકાનના કચરાને એકઠો કરવા કન્ટેનરની વ્યવસ્થા કરતું નથી, જેના કારણે કચરો બાળીને વાતાવરણમાં વાયુ પ્રદૂષણ ફેલાવવામાં સ્થાનિક સફાઈ કર્મચારી પણ સામેલ થાય છે, જોકે પરેશ પટેલ કહે છે કે રસ્તા પર કચરો બાળવાની ફરિયાદ હજુ સુધી મને મળી નથી.
એ જે હોય તે, પરંતુ શહેરના રસ્તા જો ડામર કૌભાંડથી ખાડા ટેકરા ધરાવતા બિસમાર જોવા મળે છે તો સફાઇ કર્મચારીઓનાં ધાંધિયાં, બીટની ઓછી સંખ્યા, રાત્રિ સફાઇ તો છોડો સાંજની સફાઇમાં અરાજકતા જેવાં કારણોથી શહેરના રસ્તાને ‘ડિસ્કો’ રસ્તાની સાથે-સાથે કચરાથી ઊભરાયેલા પણ લોકો જોઇ રહ્યા છે. તેમ છતાં વહીવટીતંત્ર કે શાસકોના પેટનું પાણી હાલતું નથી.