રાજકોટમાં તૈયાર થયેલા ધમણ-1 વેન્ટિલેટરને લઈને ગઇકાલે અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડન્ટ પ્રભાકરે સરકારને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધમણ-1 વેન્ટિલેટર ધાર્યુ પરિણામ ન આપતું હોવાની વાત થઇ હોવાની વાત થઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે સિવિલના સુપરિટેન્ડન્ટ પ્રભાકર દ્વારા આ પત્રને લઇને ખુલાસો કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલ ખાતે ધમણ-1નું કરાયું ડેમોન્સ્ટ્રેશન
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું ધમણ-1ને લઈને ગેરસમજ હતી
અમદાવાદમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તાના વિવાદ મામલે અસારવા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે ખુલાસો કર્યો છે. એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે આ મશીન બરાબર નથી તેવો પત્ર વ્યવહાર નથી થયો પરંતુ આ મશીનમાં સુધારા અંગે પત્ર લખ્યો હતો. લોકોના મનમાં ધમણ 1 અંગે ખોટી ગેરસમજ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે. અસારવા સિવિલ ખાતે ધમણ 1નું ડેમોન્સ્ટ્રેશન કરાયું છે. તમામ મશીનના ડેમો નિષ્ણાંતો દ્વારા અપાયેલા તમામ સૂચનો બાદ ડેમો પૂર્ણ કરવામાં આવ્યા છે. હવે ધમણ 2 અને ધમણ 3 મોડેલ પણ તૈયાર છે. જલ્દી તેનો પણ ઉપયોગ શરૂ કરવામાં આવશે. જરૂર પડ્યે અપગ્રેશન કર્યા બાદ વિવિધ મોડેલ ઉપયોગમાં લેવાશે.
એમ.એમ.પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, 2 પ્રકારના વેન્ટિલેટર આવે છે. જેમાં હાઈપ્રેશરના વેન્ટિલેટરની સમગ્ર દેશ અને દુનિયામાં અછત છે. ત્યારે રાજકોટની કંપનીએ આ બીડુ ઝડપ્યું હતું. તેમણે ધમણ-1 બનાવ્યું અને તેમણે આશ્વાસન આપ્યું હતું. તેમણે ધમણ-2 અને ધમણ-3 બનાવ્યા છે જે વિદેશથી ઇમ્પોર્ટ કરીએ છીએ તે પ્રકારના છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ભારત સરકારે પણ આ કંપની પાસેથી 5 હજારનો ઓર્ડર આપેલો છે. હાલ વેન્ટિલેટરની ખુબજ જરૂરિયાત છે અને ખુબજ ઉપયોગી થશે. તેનાથી આપણે દર્દીઓને બચાવી શકશું.
પત્રમાં ફરિયાદ કરવામાં આવી નથીઃ પરાક્રમસિંહ જાડેજા
જોકે સિવિલના સુપ્રિટેન્ડન્ટના પત્રને લઈને ધમણ-1 બનાવનાર પરાક્રમસિંહ જાડેજાએ અગાઉ નિવેદન આપ્યુ હતું કે, પત્રમાં ફરિયાદ કરવામાં આવી નથી, જરૂરિયાત વિશે કહેવાયું છે. ધમણ-1 મુદ્દે અમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી પણ નથી. કોરોનાના દર્દીને ધ્યાને રાખીને જ મશીન બનાવાયું છે. વોલિયમ કંટ્રોલ વેન્ટિલેટરના પુરતા પાર્ટ્સ અહીં નથી. ફુલ ફ્લેઝ્ડ વેન્ટિલેટર માંગવામાં આવ્યુ છે.
ધમણ-1 અસફળ સાબિત થયુંઃ કોંગ્રેસ
બીજી તરફ ધમણ-1ના વિવાદ મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે ધમણ-1 વેન્ટિલેટર લોકોના આરોગ્ય માટે સફળ સાબિત થશે તેવી લોકોને અપેક્ષા હતી પરંતુ મુખ્યમંત્રી રૂપાણીના સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ઉતાવળીયું પગલું ભર્યું જેના કારણે આજે દોઢ મહિના બાદ ધમણ 1માં ખામી સર્જાઇ છે. રાજ્યના મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી છે. દોઢ મહિના બાદ રૂપાણીના ઉતાવળીયા પગલાને કારણે ધમણ-1 લોકોને સાજા કરવામાં સફળ સાબિત નથી થયું. સાથે જ સવાલ કરતા કહ્યું કે સરકારે એપ્રિલમાં 1 હજાર નવા વેન્ટીલેટર ખરીદવાની જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી કેટલા વેન્ટીલેટર ખરીદવામાં આવ્યા છે તેનો રાજ્યની રૂપાણી સરકાર જવાબ આપે.