અમદાવાદ સિવિલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે પરંતુ સિવિલમાં દાખલ દર્દીઓથી પણ બદ્દતર સ્થિતિ છે તેમના સ્વજનોની
અમદાવાદ સિવિલમાં દર્દીના સ્વજનોની દયનીય સ્થિતિ
કાતિલ ઠંડીમાં રોડ પર સુવા મજબૂર
રેનબસેરા બનાવવાની માત્ર વાતો
હાલ શહેરમાં હાડ થિજાવી દેતી ઠંડી પડી રહી છે અને કોરોનાની ત્રીજી લહેરના કારણે હોસ્પિટલના બેડ ફરી વધુ એક વાર ઊભરાવા લાગ્યા છે. સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાંવહાલાંને સૂવા માટેની વ્યવસ્થા પણ નહીં હોવાથી તેમને આ કાતિલ ઠંડીમાં રોડ પર સૂવાની નોબત આવે છે. ઠંડી-ગરમી હોય કે પછી ચોમાસું હોય, દર્દીઓનાં સગાંએ ફરજિયાત રોડ ઉપર જ સૂવું પડે છે.
ક્યારે બનશે રેનબસેરા ?
1200 બેડની હોસ્પિટલનું ઉદ્ધાટન જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ત્યારે રાજ્ય સરકારે રેન બસેરા બનાવવાની પણ જાહેરાત કરી હતી.
એક તરફ રાજ્ય સરકાર મેડિકલ ટૂરિઝમના હબ તરીકે વિકસાવવાની વાતો કરે છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના નવીનીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ હોસ્પિટલના વિકાસ પાછળ થયેલી જાહેરાતોનું બાળમરણ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે.1200 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી ત્યારે સિવિલ હોસ્પિટલમાં ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન રેન બસેરા બિલ્ડિંગ બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી.
દર્દીઓ કરતા પણ બદ્દતર સ્વજનોની સ્થિતિ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન સહિત દેશનાં અનેક રાજ્યમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર તો મળી જાય છે, પરંતુ તેમના કરતાં બદતર હાલત તેમનાં સ્વજનોની થાય છે. હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવનાર પરપ્રાંતીય લોકોને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડતું હોય છે, જેના કારણે દર્દીઓનાં સગાંવહાલાં જે રોકાય તેમણે હોસ્પિટલના રોડ પર સૂઇ જવું પડે છે. કોઇ પણ સિઝન હોય, સિવિલ કેમ્પસમાં દર્દીઓનાં સગાંઓ ગમે ત્યાં ખુલ્લી જગ્યાએ સૂતાં હોય છે. રાજ્ય સરકારે દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ૧૨૦૦ બેડની હોસ્પિટલ પાસે રેન બસેરા બનાવવાનો નિર્ણય લીધો હતો જેથી દર્દીઓનાં સગાં રાત્રિ રોકાણ કરી શકે. પરંતુ અદ્યતન રેન બસેરા ૩૫ કરોડના ખર્ચે ઊભું થાય તેનો કોઇ અત્તો પત્તો નથી.
બજેટ ફાળવ્યુ નથી-એમ.એમ. પ્રભાકર
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારનો રેન બસેરા બનાવવા માટેનો આ પ્રોજેક્ટ એકદમ યુનિક હતો. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવ માળના બિલ્ડિંગમાં એકસાથે એક હજાર માણસો રાતવાસો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની હતી. આખા બિલ્ડિંગમાં સુવિધાના ભાગરૂપે તમામ માળ પર રૂમ અને ડોરમેટરી, કોમન રસોડું, ટોઇલેટ અને બાથરૂમની પણ સુવિધા ઊભી કરવાની હતી. આ સમગ્ર બિલ્ડિંગની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે.આખા પ્રોજેક્ટ પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગે છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થનાર ૧૨૦૦ દર્દીઓનાં સગાંઓને ક્યાં રાતવાસો કરવો એક પ્રશ્ન છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ લોકો ક્યાં સૂઇ જશે તે એક મોટો પ્રશ્ન છે. સિવિલના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ એમ.એમ. પ્રભાકરે જણાવ્યું છે કે રેન બસેરા બનાવવાનો પ્રોજેક્ટ હતો પણ બજેટ નહીં ફળવાતાં તે શક્ય બન્યો નથી.
રેનબસેરા 2 વર્ષમાં બની જશે- સિવિલ સુપ્રિ.
કોરોનાની ત્રીજી લહેરે અમદાવાદમાં દસ્તક આપી દીધી છે ત્યારે ધીમે ધીમે સરકારી હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ હોસ્પિટલના બેડ ભરાઇ રહ્યા છે. કોરોનાની બીજી લહેર આવી હતી ત્યારે હોસ્પિટલના બેડ હાઉસફુલ થઇ ગયા હતા અને દર્દીઓએ દાખલ થવા માટે રાહ જોવી પડતી હતી, જેના કારણે તેમને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં કલાકો સુધી રહેવું પડ્યું હતું. કીડીયારું ઊભરાયું હોય તેવી રીતે હોસ્પિટલ દર્દીઓ તેમજ તેમનાં સગાં-સંબંધીઓથી ભરાઇ ગઇ હતી.આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું છે કે રેન બસેરાનું બજેટ રાજ્ય સરકારે ફાળવી દીધું છે અને તે બે વર્ષમાં બની જશે.