અમદાવાદ સિવિલમાં કોરોના પોઝિટિવ વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે હોબાળો કર્યો હતો. પુરતી સેફ્ટી વગર તેમની પાસેથી કામ લેવાવામાં આવતું હોવાનો સિવિલ તંત્ર ઉપર આક્ષેપ મુકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં નર્સીંગ સ્ટાફમાં પણ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાને પગલે સિવિલ નર્સીંગ સ્ટાફમાં પણ ફફડાટ પેસી ગયો છે.
કોરોના વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફનો હોબાળો
ડ્યુટીના ટાઇમિંગ બાબતે અને રહેવાની બાબતે હોબાળો
તંત્ર દ્વારા કોઈ સેફટી સાધનો ન આપતા હોવાનો નર્સિંગ સ્ટાફનો આક્ષેપ
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પુરતી સેફ્ટી વગર વોર્ડમાં કામ કરાવવામાં આવતુ હોવાના તંત્ર ઉપર આક્ષેપ મુકવામાં આવી રહ્યા છે. સાથે એ પણ આક્ષેપ છે કે, કોરોના ડ્યુટી પછી ક્વોરન્ટાઈન કરવા માટે કોઈ જ વ્યવસ્થા નથી.
શું કહે છે સ્ટાફ
કોરોના વાયરસમાં દરેક સ્ટાફ મદદ કરવા તૈયાર છે પણ આ રીતે અમારા જીવ જોખમમાં મુકીએ એ તો કેમ ચાલે? અમારી કોઈ સેફ્ટી જ નથી. ડ્યુટી પત્યા પછી ક્વોરન્ટાઈન થવાની કોઈ વ્યવસ્થા નથી. એટલુ જ નહીં અમારી ફરજના કલાકો પણ વધારે છે. વોર્ડમાં પેશન્ટ અગર અમારી કોઈ વાત ન માને તો પોલીસ કે સિક્યોરિટિ બંનેમાંથી એક પણ અંદર વોર્ડમાં આવતા નથી. તંત્ર દ્વારા કોઈ સેફટી સાધનો ન આપતા હોવાનો નર્સિંગ સ્ટાફ નો આક્ષેપ છે.
અમારા પરિવારનું શું?
એટલું જ નહીં પણ અમને સ્ટ્રીકલી વોર્નિંગ આપી દેવામાં આવી છે કે, જો સાત દિવસની ડ્યુટી પછી લક્ષણો દેખાય તો જ ફરિયાદ કરવી કે ટેસ્ટ કરાવવો. અમે ડ્યુટી પરથી ઘરે જઈએ પછી અમારા પરિવારનું શું? અહીંથી સેફ્ટી વગર સેવા કરી ચેપ લઈને ઘરે જવું પણ યોગ્ય નથી જ ને?