સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી
એક એક એમ્બ્યુલન્સ 2થી 3 કલાક સુધી રહે છે કતારોમાં
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ દર્દીઓનો જમાવડો થયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી ગઈ છે. એક એક એમ્બ્યુલન્સ 2થી 3 કલાક સુધી લાંબી લાઈનમાં છે. દર્દીઓએ સારવાર માટે 3 કલાક જેટલી રાહ જોવી પડી હતી. પરિવારજનો અને દર્દીઓ હોસ્પિટલની બહાર જ અટવાયા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યો છે તેની વાસ્તવિકતા આ જોઇ શકાય છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં બેડ માટે દર્દીઓ વલખા મારી રહ્યાં છે. રાતે 11 વાગ્યે પણ 108 એમ્બ્યુલન્સની કતારો લાગી છે. આમ તો સારવાર માટે બપોર બાદથી એમ્બ્યુલન્સની કતારો લાગી છે. તેમ છતાં મોડીરાતે પણ 108 એમ્બ્યુલન્સનો ધસારો યથાવત જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 1907 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. સિવિલ મેડિસિટીના 95 ટકા બેડ પર દર્દીઓ છે. મેડિસિટીમાં 2068 કોરોના બેડમાંથી 1965 બેડ પર દર્દી સારવાર લઈ રહ્યા છે. રાત્રે આવતા દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાય રહી છે. અને લાંબી લાઈન લાગી ગઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી સ્થિતિને લઇ હવે ગુજરાત હાઇકોર્ટ મેદાનમાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી અને કહ્યું કે, બીજા રાજ્યોમાં શું છે તે ન કહો, ગુજરાતની જ ચિંતા છે અમને, પહેલા ધ્યાન રાખ્યું હોત તો આ સ્થિતિ ન હોત. સરકાર કહે છે કે મીડિયામાં આવે છે તેના કરતા સ્થિતી ઘણી સારી છે?. ફેબ્રુઆરી સુધી સ્થિતી સારી હતી અને સરકારે પણ માની લીધુ હતુ કે કોરોના જતો રહ્યો. અને પછી બેડ પણ ઘટાડી દીધા હતા.
હાઇકોર્ટે કહ્યું કે, સામાન્ય માણસોને ટેસ્ટિંગના રિપોર્ટ મળવામાં 2-3 દિવસ લાગે છે. આજની તારીખમાં પણ RT-PCR રિપોર્ટ માટે 3-4 દિવસ લાગે છે. કેટલાક લોકોને લાઇન જંપ કરીને વહેલો રિપોર્ટ મળી જતો હશે. સામાન્ય માણસને કોરોના રિપોર્ટ મળવામાં વધુ સમય લાગે છે. 5 દિવસ રિપોર્ટમાં વાર લાગે તો દર્દીની સ્થિતી બગડી શકે છે. રિપોર્ટમાં વાર લાગતા દર્દી અન્યને સંક્રમિત કરી શકે છે. હાઇકોર્ટે કહ્યું, ટેસ્ટ વધુ કરવામાં આવે અને ટેસ્ટનો રિપોર્ટ જલ્દી મળે. રેમડેસિવિર શા માટે હોસ્પિટલના દર્દીને જ અપાય છે. હોમ ક્વોરન્ટાઇન રહેલા દર્દીને રેમડેસિવિરની મંજૂરી કેમ નથી?. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને પણ ટ્રિટમેન્ટ મળવી જોઇએ.
તમામ વાતો અંગે સરકારને સૂચન કરવાની જરૂર નથી. સરકાર પોતાની રીતે પણ સ્થિતી જાણી શકે છે. સરકાર પોતાની રીતે પણ સ્થિતી જાણી શકે છે. શા માટે માત્ર એક જ સ્થળે રેમડેસિવિર મળે છે?. શા માટે રેમડેસિવિર નર્સિગ હોમ,હોસ્પિટલો,મેડિકલ સ્ટોરમાં નથી મળતા. અમારી પાસે માહિતી છે કે હોસ્પિટલ બેડ હોવા છતા દર્દીને દાખલ નથી કરાતી. રેમડેસિવિર તમામ જગ્યાએ મળી શકે.
હાઇકોર્ટે કહ્યું કે, જાન્યુઆરી,ફેબ્રુઆરીમાં પણ રેમડેસિવિરનું મોનિટરિંગ કરવાની જરૂર હતી. રેમડેસિવિરના ઉત્પાદનનું સતત મોનિટરિંગ કર્યુ હોત તો આ સ્થિતી ન હોત. રેમડેસિવિરની અછત દૂર કરવી એ સરકારનો મુદ્દો છે. બેડ, ઇન્જેક્શનની તમામ વ્યવસ્થા છે તો લોકોને સુવિધા કેમ નથી મળતી. માત્ર મહાનગરોમાં જ આ સ્થિતી નથી નાના શહેરોમાં પણ સ્થિતી ખરાબ. મહેસાણા, ભરૂચમાં પણ સ્થિતી ખરાબ છે.