કોરોના સામે જીત મેળવવા મથતા ગુજરાત માટે ચિંતાજનક સમાચાર મળ્યા છે. અમદાવાદમાં આતંકી હુમલાની શક્યતા છે. અમદાવાદમાં આતંકી હુમલાની શક્યતાને લઈ પોલીસ અલર્ટ મોડ પર છે. જાહેર સ્થળો પર CCTV કેમેરા ગોઠવવા સુચનો જાહેર કર્યા છે. પોલીસ કમિશનરે કહ્યું કે આતંકીઓ બાઇક અને સાયકલનો ઉપયોગ કરી શકે છે.
આતંકવાદી હુમલાને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
અમદાવાદને પણ આતંકવાદીઓ બનાવી નિશાન શકે છે. ગમે ત્યારે અમદાવાદમાં આતંકી હુમલો થઇ શકે છે. હુમલાની શક્યતાને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ આતંકીઓ હુમલા માટે બાઇક અને સાયકલનો ઉપયોગ કરી શકે છે..જેથી હવે શહેરમાં સાયકલ અને સ્કૂટર વેચાણ કરનારે ખરીદનારની ડિટેઇલ રાખવી પડશે. એટલું જ નહીં વાહન ખરીદનારના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી રાખવી પડશે. સાથે સાથે સાયકલ અને સ્કૂટર ખરીદનારને બિલ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો આ બધી માહિતી નહીં રાખવામાં આવે તો જાહેરનામાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
થિયેટર્સ, હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, પેટ્રોલપંપ પર CCTV ગોઠવવામાં આવશે
પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ અગાઉ પણ જાહેરનામુ જાહેર કર્યું હતું. જે મુજબ જ્વેલર્સ દુકાનો, આંગડિયા પેઢી, શોપીંગ મોલમાં CCTV ગોઠવવા આદેશ કરાયો છે. આ ઉપરાંત થિયેટર્સ, હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, પેટ્રોલપંપ પર CCTV ગોઠવવામાં આવશે. CCTV ફૂટેજનો ડેટા 15 દિવસ સુધી સાચવી રાખવા પણ આદેશ કરાયો છે. કાર નંબર અને વ્યક્તિના ચહેરા સ્પષ્ટ દેખાય તે રીતે CCTV ગોઠવવા પડશે. ધર્મશાળાઓમાં વ્યક્તિના આઈડી પ્રુફ અને મુલાકાતનું કારણ નોંધવા સુચન કરાયું છે. આવતીકાલથી 60 દિવસ સુધી જાહેરનામુ અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે કલમ 188 મુજબ કાર્યવાહી થશે.