ફાયર સેફટી નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC) ને લઈને અરજદારોને હવે કચેરીમાં ધક્કા ખાવાની નોબતનો બહુ ઝડપથી અંત આવશે. હવે પછી અરજદારો ફાયર સેફટી માટે એનઓસી પ્રક્રિયા આ માસના અંત સુધીમાં ઓનલાઇન કરી શકે તેવી વ્યવસ્થા સરકાર ગોઠવી રહી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ફાયર એનઓસી (NOC) ઓનલાઇન થતાં અરજદારોની તમામ તકલીફોનો અંત આવશે અને કામગીરીમાં પારદર્શકતા આવશે. સુરતની તક્ષશિલાની આગની ઘટના બની ગયા બાદ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ફાયર એનઓસી મેળવવા માટેની રોજની અનેક અરજીઓ આવે છે.
નવી પ્રક્રિયા અનુસાર હવે એનઓસી (NOC) મેળવવા માટે અરજદારે ઓન લાઈન અરજી કરવાની રહેશે. તે માટે જરૂરી દસ્તાવેજો ફોટા સુધીની માહિતી અપલોડ કરવાની રહેશે. અરજદારની અરજી ક્યાં કઈ કક્ષાએ પેન્ડિંગ છે. તેનું પણ કમિશનર કે ડેપ્યુટી કમિશનર કક્ષાએથી મોનિટરિંગ થશે. શરૂઆતમાં અમદાવાદ સહિત આ સિસ્ટમ અમલી થશે.
ઓનલાઇન અરજી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ ક્યારે સ્થળ પર વિઝિટ કરવા માટે આવશે, તેની જાણ અરજદારને કરાશે. તંત્રનો દાવો છે કે જો દસ્તાવેજોની પૂર્તતા હશે તો ૧૫ દિવસમાં અરજદારને ફાયર એનઓસી મળી શકે છે.
સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર વિભાગ હરકતમાં આવેલું જોવા મળ્યું હતું. રાજ્યમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, વડોદરા ખાતે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઇને તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.