શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ઘેર ઘેર મેલેરિયા અને ડેન્ગ્યુના તાવના દર્દી જોવા મળે છે. ચાલુ ચોમાસામાં વરસાદ પછી રસ્તા પરનાં ખાડામાં ભરાયેલાં પાણી, કાદવ-કીચડ વગેરેના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. જેના કરાણે રોગચાળો વકર્યો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ મૂકવાની કામગીરી શરૂ કરાઇ છે. પરંતુ આ કામગીરી હજુ ખાસ અસરકારક ન હોઇ લોકોમાં ફફડાટ ફેલાયો છે. મેલેરિયા ઉપરાંત શહેરીજનો ડેન્ગ્યુના ઘાતક રોગમાં સપડાયા છે. ચાલુ વર્ષે મ્યુનિ. ચોપડે ડેન્ગ્યૂના ૧૬ર સત્તાવાર કેસ નોંધાયા છે. જ્યારે બિનસત્તાવાર કેસ ચાર ગણા હોઈ શહેરમાં અંદાજે ડેન્ગ્યુના ૧૦૦૦થી વધુ દર્દી અસરગ્રસ્ત છે.
અમદાવાદમાં મેલેરિયા ઉપરાંત ઘાતક ડેન્ગ્યુના રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. ગયા જુલાઇમાં શહેરમાં ડેન્ગ્યુના સત્તાવાર ૯૩ કેસ નોંધાયા હતા. જે પૈકી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ર૭ કેસ, મધ્ય ઝોનમાં ૧૬, પૂર્વમાં ૧ર અને દક્ષિણ-પશ્ચિમમાં ૧૧ કેસ નોંધાયા હતા. ચાલુ ઓગસ્ટ માસમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧ર કેસ નોંધાઇ ચૂકયા છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ ૧૬ર કેસ નોંધાયા હોઈ બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને ગોતા વોર્ડનો સમાવેશ ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪પ કેસ નોંધાયા છે.
જ્યારે મધ્ય ઝોનમાં ર૭, પૂર્વમાં ર૧ કેસ તંત્રના ચોપડે ચડ્યા છે. શહેરમાં ખાનગી દવાખાના અને હોસ્પિટલ ડેન્ગ્યુ-મેલેરિયાના દર્દીઓથી ઊભરાઇ રહ્યા છે. દવાખાનામાં ભારે ભીડ જોવા મળે છે. એટલે શહેરમાં ડેન્ગ્યુના ઓછામાં ઓછા ૧૦૦૦ થી ૧ર૦૦ દર્દી હોવાનો એક અંદાજ છે.