યુનેસ્કો દ્વારા ગત તા.૭ જુલાઇ, ર૦૧૭એ અમદાવાદને કોટ વિસ્તારનાં હેરિટેજ મકાન અને ઐતિહાસિક સ્થાપત્યના આધારે દેશનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાયો હતો, જોકે શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો ગૌરવપૂર્ણ ખિતાબ મળ્યે બે વર્ષ થઇ ચૂકયાં છે, પરંતુ કોટ વિસ્તારમાં તંત્રની રહેમ નજર હેઠળ હેરિટેજ મકાનને ધરાશાયી કરીને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની પ્રવૃત્તિએ માઝા મૂકતાં આ બાબત લાંબા સમયથી ચર્ચાના ચગડોળે ચડી હતી, પરંતુ હવે સત્તાવાળાઓએ રહી-રહીને સતર્કતા દાખવી કોટ વિસ્તારનાં હેરિટેજ મકાનને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફેરવવાના મામલે કુલ ર૩ બિલ્ડિંગને તાળાં મારતાં સમગ્ર કોટ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
સેપ્ટ આધારિત સર્વે મુજબ કોટ વિસ્તારનાં રર૩૬ મકાનને હેરિટેજ મકાન તરીકે જાહેર કરાયાં છે. હેરિટેજ મકાનને લગતી વિવિધ શ્રેણી મુજબ આ મકાનને હેરિટેજ મકાન જાહેર કરાયા બાદ પણ તંત્ર તેની સારસંભાળ રાખવામાં નિષ્ફળ પુરવાર થયું છે.
કોટ વિસ્તારના કેટલાક ભ્રષ્ટ એસ્ટેટ અધિકારી, બિલ્ડર માફિયા અને પ્રજાના કેટલાક ભ્રષ્ટ પ્રતિનિધિની બનેલી ત્રિપુુટીથી જૂનાં મકાનને જમીનદોસ્ત કરી ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બેફામ બની રહ્યાં છે. કેટલીક પોળ તો આખેઆખી કોમર્શિયલ પ્રવૃત્તિથી ગાજવા લાગી છે. પરિણામે આવી પોળના રહેવાસીઓને મને-કમને અન્ય વિસ્તારમાં હિજરત કરવી પડે છે.
દાયકા પહેલાં બાર હજાર હેરિટેજ મકાન કોટ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતાં હતાં, જે હવે ગણીને રર૩૬ રહી જતાં તેમાં પણ કોમર્શિયલ બિલ્ડિંગ બની રહ્યાં હોઇ મ્યુનિ. હેરિટેજ વિભાગ દ્વારા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગને આ અંગે જે તે મકાનના નંબર સહિતની વિગત પૂરી પડાઇ હતી.
અઠવાડિયા પહેલાં મળેલી આ માહિતીના આધારે આજે સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ ખાડિયા, ઘીકાંટા, ડબગરવાડ, શાહપુર વગેરે વિસ્તારોમાં ત્રાટકી હતી. ખાડિયામાં ચકલેશ્વર મહાદેવથી સાંકડી શેરી જવાના રોડ પર, હજીરાની પોળના નાકે, ઘીકાંટામાં દૂધવાળાની પોળ, ડબગરવાડમાં મોટી સાલેમપરીની પોળ, શાહપુરમાં હલીમની ખડકીના રોડ પર આવેલી જીવણ કમળશીની પોળની બાજુની વસ્તા ઘેલાની પોળ સહિતની પોળમાં આવેલાં કુલ ર૩ હેરિટેજ મકાનને કાં તો પૂર્ણપણે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફેરવાઇ દેવાયાં હતાં અથવા તો તેના આંશિક ભાગનું હેરિટેજ સ્થાપત્યને નુકસાન થાય તે રીતે તેનું રિપેરિંગ કરાયું હતું.
એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે સવારના ૬ વાગ્યે કોટ વિસ્તારમાં સીિલંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી. તંત્ર દ્વારા દસ-દસ કર્મચારીની પાંચ ટીમને જે તે મકાનને સીલ કરવા માટે મોકલાઇ હતી. આ ટીમની સુરક્ષા માટે એસઆરપી જવાનોનો બંદોબસ્ત પણ રખાયો હતો. સવારની ત્રણ કલાકની કામગીરીમાં કુલ ર૩ બિલ્ડિંગ સીલ કરાયાં હતાં.
જાણકાર સૂત્રો કહે છે, મ્યુનિ. કોર્પોરેશનના ઇતિહાસમાં હેરિટેજ મકાનની શ્રેણીમાં આવતાં મકાનોને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફેરવવાના મામલે પહેલી વખત આજે મોટા પાયે સીિલંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી, જોકે તંત્ર દ્વારા જે તે હેરિટેજ મકાનને હેરિટેજ પ્લેટ લગાવવાના મામલે થયેલા વિલંબથી પણ કોટ વિસ્તારનાં કેટલાંક માથાભારે તત્ત્વોને ફાવતું જડ્યું છે.